Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જી.એન.એફ.સી. સ્‍ટેડીયમમાં આઇ.ટી.આઇ. રોજગાર મેળાનું સફળ આયોજન

Share

કૌશલ ભારત – કુશળ ભારતના મંત્રને ચરિતાર્થ કરવા ઔદ્યોગિક તાલીમ સંસ્‍થા(આઇ.ટી.આઇ.)માં તાલીમબધ્‍ધ થયેલ તાલીમાર્થીઓને ઘરઆંગણે રોજગારના અવસર ઉપલબ્‍ધ કરાવવા ગુજરાત સરકાર ધ્‍વારા પ્‍લેસમેન્‍ટ સપ્‍તાહની ઉજવણી થઇ રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત ભરૂચ ખાતેના જી.એન.એફ.સી. ટાઉનશીપ સ્‍ટેડીયમમાં આજે યોજાયેલ ‘આઇટીઆઇ રોજગાર મેળો’ કાર્યક્રમનું માંગલદીપ પ્રાગટયકરણથી ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રણાલયના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવારે ખૂલ્લો મુક્‍યો હતો. આ પ્રસંગે રાજ્‍યના શ્રમ અને રોજગાર ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્‍યસચિવ અને જીએનએફસીના મેનેજીંગ ડીરેક્‍ટર શ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્‍તા, રોજગાર અને તાલીમ ગાંધીનગરના નિયામકશ્રી ડી.કે.પારેખ ખાસ ઉપસ્‍થિત રહયા હતા.

આ પ્રસંગે ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રણાલયના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવારે જણાવ્‍યું હતું કે, દુનિયામાં ભારત દેશ એક સાચી દિશામાં પ્રગતિ કરી આગળ વધી રહ્‍યો છે. દુનિયાના દેશોમાં ભારત દેશમાં નવ યુવાનો – યુવાધન સૌથી વધુ છે જે યુવાધન આજે આઇટીઆઇ મારફતે ટેકનીકલ શિક્ષણ મેળવી રોજગારી મેળવવામાં સફળતા પ્રાપ્‍ત કરે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં દેશને એક સાચી દિશામાં આગળ વધે તે માટેની ચિંતા કરી છે. તેમણે અનેક ઐતિહાસિક મજબૂત નિર્ણય લઇને પ્રજાપ્રિય બન્‍યા છે.

Advertisement

તેમણે ઉમેર્યુ હતું કે, આજે આ મેગા જોબ ફેર ઇવેન્‍ટમાં લગભગ ૯ હજાર જેટલા યુવક-યુવતિઓ હાજર રહી લગભગ ૬ હજાર જેટલાં યુવક-યુવતિઓ ઉદ્યોગ એકમોમાં પ્‍લેસમેન્‍ટ મેળવશે અને એક નવી જીંદગીની શરૂઆત કરશે. દેશમાં યુવાધનને રોજગારી પુરી પાડી એક પરિવર્તન યુગની શરૂઆત કરી દીધી છે તેમ પણ તેમણે જણાવ્‍યું હતું. તેમણે દેશમાં ચાલી રહેલાં કૌશલ્‍ય વિકાસ તાલીમકેન્‍દ્રો ધ્‍વારા અપાતી જાણકારીની માહિતી આપી દેશમાં રસ્‍તા, જળ અને એર માર્ગ ક્ષેત્રે સાધેલી પ્રગતિ અને એમા પ્રાપ્‍ત થનારી રોજગારીની વિગતે માહિતી આપી હતી. સ્‍વરોજગારીની દિશામાં પ્રધાનમંત્રી ધ્‍વારા થયેલાં પ્રયાસોને પણ તેમણે બિરદાવ્‍યા હતા. સમગ્ર દેશમાં ગુજરાત રાજ્‍ય રોજગાર આપવામાં સૌથી આગળ છે અને સાચી દિશામાં થઇ રહેલી કામગીરીને બિરદાવી હતી.

આ પ્રસંગે રાજ્‍યના શ્રમ અને રોજગાર ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોરે રોજગાર વાંચ્‍છુઓને રોજગારી આપવામાં ગુજરાત રાજ્‍ય સમગ્ર દેશમાં અગ્રસ્‍થાને હોવાનું જણાવી નવ યુવાનોને રોજગારી મળે તે માટે રાજ્‍ય સરકાર સરાહનીય પ્રયાસો કરી રહી છે.

તેમણે જણાવ્‍યું કે, ગ્રામીણ વિસ્‍તારમાં ખૂબ મહેનત કરીને તકલીફ વેઠીને શિક્ષિત થયેલ યુવક-યુવતિઓના નોકરી મેળવવાનું એક માત્ર સ્‍વપ્‍નને સાકાર કરવા ગુજરાત સરકાર કટિબધ્‍ધ છે અને અહીં યોજાયેલા ‘આઇટીઆઇ રોજગાર’ મેળામાં આજે ૧૦૭ ઉદ્યોગ એકમો ધ્‍વારા ૬૭૦૦ જેટલી જગ્‍યા પર પ્‍લેસમેન્‍ટ થશે. રાજ્‍યમાં જેટલા તાલુકાઓ છે તે તાલુકાઓમાં આઇટીઆઇ ચાલુ કરવાના નિર્ણયને આગળ વધારતાં રાજ્‍યમાં ૨૮૭ આઇટીઆઇમાં યુવક-યુવતિઓને તાલીમ આપી તૈયાર કરવામાં આવે છે અને રાજ્‍યમાં ૫૦ જેટલી મહિલા આઇટીઆઇ શરૂ કરી છે જેથી મહિલા સશક્‍તિકરણનો અમલ થાય અને મહિલાઓ પણ કોઇપણ ક્ષેત્રમાં પાછળ ન પડે તે હેતુથી આ સરાહનીય પગલુ ભર્યું છે.

ગરીબ પરિવારના એક યુવાનને રોજગારી આપવી એટલે એના પરિવારને આર્થિક સધ્‍ધરતાના માર્ગે આગળ લાવવાનો આ શ્રેષ્‍ઠ પ્રયાસ છે અને આ માટે મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્‍ય સરકારના શ્રમ અને રોજગાર વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્‍ત ઉપક્રમે રાજ્‍યભરમાં ‘મેગા જોબફેર’ નું આયોજન કરીને માત્ર એક માસની ઝૂંબેશમાં એક લાખ નવ હજાર જેટલા રોજગાર વાંચ્‍છુ યુવાનોને પ્રત્‍યક્ષ રોજગારીના પ્રમાણપત્રો આપ્‍યા છે.

મંત્રીશ્રીએ કહ્‍યું કે દેશભરમાં ગુજરાત સૌથી વધુ રોજગારી આપનારૂં રાજ્‍ય બન્‍યું છે તથા ગુજરાતમાં ૮૫ ટકા સ્‍થાનિક રોજગાર વાંચ્‍છુઓને જ રોજગારી આપવા રાજ્‍ય સરકાર સતત મોનિટરીંગ કરી રહી છે અને એ બાબતે મંત્રીશ્રીએ કટિબધ્‍ધતા વ્‍યક્‍ત કરી હતી.

ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલે ભરૂચમાં યોજાયેલ ‘આઇટીઆઇ રોજગાર મેળા’ માં રોજગારી પ્રાપ્‍ત કરનાર યુવક-યુવતિઓને અભિનંદન પાઠવતાં જણાવ્‍યું કે, ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક વસાહતોમાં રોજગારીની વિપુલ તકોના કારણે માત્ર ગુજરાત નહી દેશભરમાં આકર્ષણ રહ્‍યું છે. રાજ્‍ય સરકાર યુવાનોને રોજગારી મળે તે માટે સતત ચિંતિત છે. તેમણે સ્‍થાનિક ઉમેદવારોની ઉદ્યોગકારો પસંદગી કરે તેવી અપેક્ષા સેવી હતી.

આ પ્રસંગે રાજ્‍યના શ્રમ અને રોજગાર વિભાગના અગ્રસચિવશ્રી તથા જી.એન.એફ.સી. ના એમ.ડી. શ્રી રાજીવ ગૃપ્‍તાએ પ્રારંભે સૌનું સ્‍વાગત કરતાં કહ્‍યું કે, ૬૦૮ જેટલાં સફળ રોજગાર મેળામાં ૪ લાખ ૫૦ હજાર યુવક – યુવતિઓને નોકરી મળી પ્રાપ્‍ત થઇ છે. જે ગુજરાતની આગવી ખાસીયત રહી છે.  શ્રી રાજીવ ગુપ્‍તાએ ભરૂચ જિલ્લામાં આજે જે રોજગાર વાંચ્‍છુ યુવાનોને રોજગારી પ્રાપ્‍ત થવાની છે તે તમામને શુભેચ્‍છા પાઠવી હતી.

આ પ્રસંગે જીએનએફસી કંપની ધ્‍વારા પસંદ પામેલ આઇટીઆઇના ઉમેદવારને તથા રોજગાર કચેરી ધ્‍વારા નોકરી પ્રાપ્‍ત કરનારને રોજગાર એનાયતપત્ર વિતરણ ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રણાલયના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી સંતોષકુમાર ગંગવારે તથા રાજ્‍યના શ્રમ અને રોજગાર ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી દિલીપકુમાર ઠાકોર, ભરૂચના ધારાસભ્‍યશ્રી દુષ્‍યંતભાઇ પટેલ, શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્‍યસચિવ અને જીએનએફસીના મેનેજીંગ ડીરેક્‍ટર શ્રી ર્ડા. રાજીવકુમાર ગુપ્‍તાના વરદહસ્‍તે એનાયત કરાયા હતા.

અંતમાં રોજગાર અને તાલીમ વિભાગ ગાંધીનગરના નિયામકશ્રી ડી.કે.પારેખે આભાર દર્શન ર્ક્‍યુ હતું.

ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના ઉપક્રમે યોજાયેલા આ ‘આઇટીઆઇ રોજગાર મેળા’ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખશ્રી આર.વી.પટેલ, અગ્રણીશ્રી યોગેશભાઇ પટેલ, સહિત ઓદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ, શ્રમ રોજગાર વિભાગના અધિકારી વર્ગ, અગ્રણીઓ અને મોટી સંખ્‍યામાં રોજગારવાંચ્‍છું યુવાવર્ગ ઉપસ્‍થિત રહ્‍યો હતો.


Share

Related posts

ભરૂચ જીલ્લાનાં ગાંધી બજાર વિસ્તારમાં ખુલ્લી ગટર અંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરીમલસિંહ રણા અને અન્ય લોકોએ આ ઘટના વખોડી.

ProudOfGujarat

નર્મદા જીલ્લામાં પ્રણવ વિદ્યાલયનાં 2 વિદ્યાર્થીઓ જિલ્લામાં ટોપ પર આવતાં સ્કુલનાં સ્ટાફે તાળીઓનાં ગડગડાટથી સ્વાગત કર્યું.  

ProudOfGujarat

પીજીઆઈએમ ઇન્ડિયાએ ઈએલએસએસ ફંડ કેમ્પેઈન #સેવ ટેક્સ ક્રિએટવેલ્થ શરૂ કર્યું.

ProudOfGujarat
error: Content is protected !!