ભરૂચ :
“વિના સંસ્કાર નહીં સહકાર”ના ધ્યેય સાથે કાર્યરત જી.ઈ.બી. કર્મચારી ક્રેડિટ સોસાયટી ભરૂચે પોતાના સભાસદોના કલ્યાણ માટે અમલમાં મુકેલી વીમા પોલિસી યોજના અંતર્ગત સ્વ. દીપક પી. મકવાણા ના પરિવારને રૂ. 5 લાખની આર્થિક સહાયરૂપ ચેક અર્પણ કર્યો હતો.
ભરૂચના મકતમપુર સ્થિત જી.ઈ.બી. રૂરલ લેબ ખાતે ફરજ બજાવતા ટેકનિકલ કર્મચારી સ્વ. દીપક પી. મકવાણાના અવસાન બાદ જી.ઈ.બી. કર્મચારી ક્રેડિટ સોસાયટીના પ્રમુખ ચિરાગ શાહ, ઉપપ્રમુખ મુસ્તાક બાપુ અને મંત્રી ભાવેશ આગ્નેજીયા દ્વારા પરિવારને રૂ. 5 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જણાવાયું હતું કે જી.ઈ.બી. કર્મચારી ક્રેડિટ સોસાયટી ભરૂચ પોતાના સભાસદોના કલ્યાણ માટે હંમેશા તત્પર રહે છે. સભાસદોની હાજરીમાં જ નહીં પરંતુ તેમના અવસાન બાદ તેમના પરિવારજનોને પણ આર્થિક રીતે મદદરૂપ થવા માટે મંડળી દ્વારા વીમા સહાય આપવામાં આવે છે.
સોસાયટી દ્વારા કર્મચારી કલ્યાણ માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે, જેમાં દિવાળીના તહેવાર દરમિયાન રાહત દરે ફટાકડાંનું વેચાણ, લોન મર્યાદામાં 1.5 લાખથી વધારી 5 લાખ સુધીનો વધારો, મંડળીના નફામાં સતત વૃદ્ધિ, વ્યાજ અને ડિવિડન્ડ તેમજ ગુણવત્તાસભર ગિફ્ટ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. પારદર્શક અને સુવ્યવસ્થિત વહીવટના કારણે મંડળી પર સભાસદોમાં વિશ્વાસ વધતો જતા નવા સભાસદોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે.
આ પ્રસંગે પ્રમુખ ચિરાગ શાહે જણાવ્યું હતું કે “જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી” જેવા ઉદ્દેશ સાથે મંડળી કાર્ય કરી રહી છે.
આ દુઃખદ પ્રસંગે મંડળી તરફથી મળેલી આર્થિક સહાય બદલ સ્વ. દીપકભાઈ મકવાણાના પરિવારજનો દ્વારા સોસાયટીનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
