આજરોજ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે સુરત ખાતે પ્રાદેશિક નિયામક નગરપાલિકા (RCM)ને આવેદનપત્ર પાઠવી અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં લાંચની માંગ અને પદના દુરુપયોગના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ કોંગ્રેસે પ્રમુખને તાત્કાલિક હોદ્દા પરથી દૂર કરવા માંગ ઉઠાવી છે.
આ પ્રસંગે રજૂ કરાયેલા આવેદનપત્રમાં કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ પ્રકારના આક્ષેપો જાહેર વિશ્વાસને ઘાત પહોંચાડે છે તેમજ નગરપાલિકાની પારદર્શક કામગીરી પર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે. તેથી મામલાની નિષ્પક્ષ અને તાત્કાલિક તપાસ જરૂરી હોવાનું કોંગ્રેસે જણાવ્યું.
આ પ્રતિનિધિ મંડળમાં સાંદીપ મંગ્રોલા, શેરખાન પઠાણ, નગરપાલિકા સભ્ય રફીક ઝઘડિયાવાળા, બખ્તિયાર પઠાણ, શકીલ અકુજી સહિત કોંગ્રેસના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
આવેદનપત્ર સ્વીકારતા *સંજય વસાવા (RCM, સુરત)*એ પ્રતિનિધિ મંડળને ખાતરી આપી હતી કે મામલામાં તાત્કાલિક અહેવાલ મંગાવી તપાસ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભ્રષ્ટાચાર સામે કોઈ સમાધાન કરવામાં નહીં આવે અને ન્યાય ન મળે ત્યાં સુધી કાયદેસર સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે.
