વડોદરાના બે મુસાફરોને લઈને મુંબઈ જઈ રહ્યાં હતાં
। ભરૂચ ।
ભરૂચ તાલુકા મનુબર ગામે રહેતો યુવાન તેની ઈનોવા કારમાં વડોદરાના બે મુસાફરોને લઈને મુંબઈ જવા માટે નીકળ્યો હતો. દરમિયાનમાં મનોર પાસે એક ઉભેલી ટ્રકમાં તેમની કાર ભટકાઈ જતાં ચાલકનું સ્થળ પર જ ગંભીર ઈજાઓને કારણે મોત થયું હતું. ઘટનામાં ટ્રકનું કામ કરી રહેલાં ડ્રાઈવરના મોતના પણ અહેવાલ સાંપડી રહ્યાં છે. કારમાં સવાર મુસાફરો પણ ગંભીર રીતે ઘવાયાં હોઈ તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જોકે, તેમની હાલત પણ નાજુક હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
ભરૂચ તાલુકામાં આવેલાં મનુબર ગામે રહેતો સુહેલ ઐથંભ કપચા તેની ઈનોવા કાર લઈને મુંબઈ એરપોર્ટ પર મુસાફરો લાવવા લઈ જવાનો ધંધો કરે છે. તેમને સંતાનમાં બે નાના બાળકો છે, જેમાં ૧૧ વર્ષનો પુત્ર અને ૮ વર્ષની પુત્રી છે. ગઈકાલે તેઓ વડોદરાના બે મુસાફરોને લઈને મુંબઈ જવા માટે નિકળ્યા હતાં. દરમિયાનમાં રાત્રીના સમયે મુંબઈ પહેલાં આવતાં મનોર ખાતે પહોંચતાં રોડ પર એક ટ્રક ચાલકે તેની ટ્રક ઉભી રાખી તેના ટાયરનું કાંઈ કામ કરી રહ્યોહતો. જોકે, સુહેલને તે ધ્યાનબહાર જતો તેમની કાર સીધી ટૂંકના પાછળના ભાગે ભટકાઈ ગઈ હતી અકસ્માત એટલો જોરથી થયો હતો. ઈનોવા કારનો આગળનો આખો ભાગ દબાઈ ગયો હતો. ચાલક સુહેલ પણ સીટ અને સ્ટિયરીંગ વચ્ચે દબાઈ જતાં તેનું સ્થળ પર જ ગંભીર હાલતમાં મોત થયું હતું. અકસ્માતમાં ટ્રકના ચાલકનું પણ મોત નીપજ્યું હતું. જયારે કારમાં બેસેલાં અન્ય મુસાફરોને પણ ગંભીર ઈજાઓ થઈ હોવાનું સ્થાનિક સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
