અંકલેશ્વરની વાલિયા ચોકડીથી કોસમડી સુધીના મહત્વપૂર્ણ માર્ગને ચાર માર્ગીય (ફોર લેન) બનાવવા રાજ્ય સરકારે મંજૂરી આપી છે. રાજ્ય સરકાર હસ્તક આવેલા કુલ 6 કિલોમીટર લાંબા આ માર્ગને રૂ.33.35 કરોડના ખર્ચે ફોર લેન બનાવવામાં આવશે. માર્ગની કામગીરી આગામી એક વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ મહત્વપૂર્ણ માર્ગના ફોર લેન નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરસિંહ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. માર્ગ પહોળો બનતાં અંકલેશ્વરના ઔદ્યોગિક વિસ્તારોને જોડતા આ માર્ગ પર લાંબા સમયથી રહેલી ટ્રાફિકજામની વિકટ સમસ્યામાંથી વાહનચાલકો અને નાગરિકોને મોટી રાહત મળશે.
વાલિયા ચોકડીથી વાલિયા તરફ જતો આ માર્ગ અનેક ઔદ્યોગિક વિસ્તારોને જોડે છે, જેના કારણે રોજિંદા ભારે વાહનવ્યવહારનો ભાર રહે છે. ફોર લેન માર્ગ બનતાં પરિવહન વધુ સુગમ બનશે તેમજ ઉદ્યોગોને પણ સીધો લાભ મળશે.
ખાતમુહૂર્ત પ્રસંગે અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબોધ પટેલ, અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ભાજપ પ્રમુખ જય તેરૈયા, ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નગરપાલિકાની કારોબારી સમિતિના અધ્યક્ષ નિલેશ પટેલ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અનિલ પટેલ સહિત અનેક આગેવાનો તથા સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે કોસમડીથી વાલિયાને જોડતો માર્ગ નેશનલ હાઇવેમાં આવે છે, જેને પણ ચાર માર્ગીય બનાવવા કામગીરી હાલ ચાલી રહી છે. બંને માર્ગો ફોર લેન બનતાં અંકલેશ્વર–વાલિયા વિસ્તારનો માર્ગવ્યવહાર વધુ સુવ્યવસ્થિત બનશે.
