દેરોલ નજીક ઓવર ટેક કરવા જતાં એસ.ટી. બસે રીક્ષાને અડફેટે લેતા બેના મોત, ચાર ઇજાગ્રસ્ત
ભરૂચ રૂરલ પોલીસ મથક ખાતે એસ.ટી. બસના ફરાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ
ભરૂચ.
ભરૂચ તાલુકાના દેરોલ ગામ નજીક શનિવારે મોડી સાંજે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં બે યુવાનોના મોત નિપજ્યા હતા, જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે વિસ્તારમાં અરેરાટી ફેલાઈ હતી.
મળતી માહિતી મુજબ વિલાયત ચોકડી વિસ્તારમાં રહેતા વિજયકુમાર સરોજ, પવનકુમાર સરોજ અને શિવમ સરોજ વિલાયત સ્થિત પીરામિન્ટ કંપનીમાં નોકરી કરતા હતા. શનિવારે સાંજે તેઓ ભરૂચ આવવા ચોકડી પરથી રીક્ષામાં બેઠા હતા. રીક્ષામાં ડ્રાઈવર સહિત કુલ છ લોકો સવાર હતા. રીક્ષા દેરોલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે ભરૂચ તરફથી આવતી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસ.ટી.) બસે અન્ય વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કરતાં રીક્ષાને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત બાદ સ્થાનિક લોકોનું ટોળું ભેગું થઈ જતા બસને થોડે અંતરે ઉભી રાખી ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતમાં રીક્ષાના જમણા ભાગે બેઠેલા પવનકુમાર અને પાછળની સીટ પર જમણી બાજુ સવાર વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે ડ્રાઈવર સહિત અન્ય ચાર લોકોને નાની-મોટી ઇજાઓ થઈ હતી.. ગંભીર રીતે ઘવાયેલા 30 વર્ષીય રૂપેશકુમાર કુશવાહ (રહે. મલ્હાર ગ્રીન સિટી, ભરૂચ) અને 20 વર્ષીય પવન સરોજને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે ભરૂચ રૂરલ પોલીસ મથક ખાતે એસ.ટી. બસના ફરાર ચાલક વિરુદ્ધ અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે ચાલકની શોધખોળ શરૂ કરી છે.
