ભરૂચ :
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, ગુજરાત સરકારના નિયામક સમાજ સુરક્ષા પ્રભાગ દ્વારા દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે ચાલુ વર્ષથી શરૂ કરાયેલી મોટરાઈઝડ ટ્રાઈસિકલ તથા જોયસ્ટીક વ્હીલચેર યોજના હેઠળ રાજ્યવ્યાપી વિતરણ કાર્યક્રમનો પ્રારંભ ગાંધીનગરથી મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમના અનુસંધાને ભરૂચ જિલ્લા કક્ષાએ પણ લાભાર્થીઓને સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જિલ્લામાં કુલ 50 દિવ્યાંગ લાભાર્થીઓને મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને જોયસ્ટીક વ્હીલચેર આપવામાં આવી હતી.
રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગજનોને વધુ સશક્ત અને સ્વનિર્ભર બનાવવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. મોટરાઈઝડ ટ્રાઈસિકલ અને આધુનિક જોયસ્ટીક વ્હીલચેર જેવી સહાયક સાધનો દિવ્યાંગજનોને અવરજવર સરળ બનાવવામાં મદદરૂપ બને છે, જેના કારણે તેઓ શિક્ષણ, રોજગાર તથા દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં સરળતાથી જોડાઈ શકે છે.
આ યોજના દ્વારા દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ આગળ વધવાની પ્રેરણા મળશે અને તેમની જીવનશૈલીમાં ગુણાત્મક સુધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
