ભરૂચ : હવામાન ખાતાની આગાહી મુજબ આગામી તા. ૧૮ માર્ચથી ૨૧ માર્ચ ૨૦૨૬ દરમિયાન ભરૂચ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ અનિશ્ચિત હવામાનને ધ્યાનમાં રાખીને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને પાક રક્ષણ માટે જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.
ખેડૂતોને સૂચના આપવામાં આવી છે કે ખેતરમાં તૈયાર થયેલ અથવા કાપણી કરેલ પાક જો ખુલ્લામાં મુકાયેલો હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકી દેવો. સાથે જ ઢગલાની આજુબાજુ માટીનો પાળો બનાવવો જેથી વરસાદી પાણી પાકની નીચે ન જાય.
આ સમયગાળા દરમિયાન જંતુનાશક દવાઓનો છંટકાવ તથા ખાતરનો ઉપયોગ ટાળવો. ખાતર અને બિયારણનો જથ્થો ભીનો ન થાય તે માટે સુરક્ષિત રીતે સંગ્રહિત રાખવો. વેપારીઓ અને ખેડૂતોને અનાજ તેમજ ખેતપેદાશોને શેડ નીચે અથવા ઢાંકીને રાખવા અને શક્ય હોય તો આ દિવસોમાં વેચાણ માટે પેદાશો લાવવાનું ટાળવા સૂચવાયું છે.
પશુપાલકોને પણ પશુઓ માટેનો ઘાસચારો સુરક્ષિત સ્થળે સંગ્રહિત રાખવા જણાવ્યું છે જેથી તે વરસાદથી પલળી બગડે નહીં.
વધુ માહિતી માટે ખેડૂતોને પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા જણાવાયું છે. ઉપરાંત કિસાન કોલ સેન્ટરના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૮૦ ૧૫૫૧ પર પણ માર્ગદર્શન મેળવી શકાય છે.
જિલ્લા વહીવટી તંત્રએ ખેડૂતોને અપીલ કરી છે કે વાદળછાયા વાતાવરણ અને સંભવિત વરસાદને ધ્યાનમાં રાખી સમયસર સાવચેતી રાખે અને પાકને આર્થિક નુકસાનથી બચાવે.
