સરદાર સરોવર ડેમના ૧૫ દરવાજા ખોલી સતત ૩.૯૫ લાખ કયૂસેક પાણી નર્મદા નદીમાં છોડાય છે
। ભરૂચ ।
સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી પાણીનો આવરો સતત વધી રહ્યો હોવાને કારણે ડેમના ૧૫ દરવાજા ૩.૮૦ મીટર ખોલીને નર્મદા નદીમાં ૩.૯૫ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે ત્યારે ભરૂચના ગોલ્ડન બ્રીજ ખાતે નદીનું સ્તર સાંજે ૪ વાગ્યે ૧૯.૩૫ ફૂટે પહોંચ્યું છે. જળસ્તર વધીને ૨૨ ફૂટની ભયજનક સપાટીએ પહોંચે તેવી શક્યતાઓને લઈને ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર પણ સાબદું થઈ ગયું છે. અને નદી કિનારેના વિસ્તારમાં લોકોને સતર્કતા રાખવા સુચના આપવામાં આવી છે.
સરદાર સરોવર ડેમમાં ઉપરવાસમાંથી ૪.૧૪ લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમના ૧૫ દરવાજા ૩.૮૦ મીટર ખોલીને નર્મદા નદીમાં ૩.૯૫ લાખ કયૂસેક પાણી છોડાઈ રહ્યું છે. જ્યારે કેનાલમાં ૧૩ હજાર કયૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદા નદીમાં ડેમમાંથી છોડાયેલાં પાણીનો આવરો વધતાં ભરૂચ જિલ્લામાં નર્મદા બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. નદીના જળસ્તરમાં સતત વધારો નોંધાતાં ગોલ્ડન બ્રીજ ખાતે નર્મદા નદીની સપાટી ૧૯.૩૫ ફૂટે પહોંચી છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક રહેવાને કારણે નર્મદા નદી ભયજનક સપાટીને વટાવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. જેના પગલે વહિવટી તંત્ર દ્વારા નદી કિનારે આવેલાં વિસ્તારોમાં રહેતાં લોકોને તાકીદ કરવામાં આવ્યાં છે. ભરૂચ શહેરમાં માઈક વડે નદીના પટમાં અને કિનારે રહેતાં લોકોને સલામત સ્થળે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી રહી છે. બીજી તરફ કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પણ ટીમોને તૈનાત રાખવામાં આવી છે.
દશામા વિસર્જનને લઈને વહિવટી તંત્ર સતર્ક । ભરૂચ । ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં શહેરના દશાશ્વમેઘ ઘાટ ખાતે દશામાની મુર્તિનું વિસર્જન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. દશાશ્વમેઘ ઘાટ ખાતે લાઈટ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પ્રતિમાના વિસર્જન માટે ભરૂચ નગરપાલિકાના લાશ્કરોને તૈનાત રાખવામાં આવ્યાં છે.
