ભરૂચ
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી નજીક એક સોસાયટીમાં છેલ્લા 12 વર્ષથી વસવાટ કરતા કલકત્તાના બંગાળી કલાકાર રવિન્દ્ર પાલ દ્વારા નર્મદા નદીની માટીથી પર્યાવરણ મૈત્રીપૂર્ણ ગણેશજીની મૂર્તિઓ બનાવી જીવન નિર્વાહ કરવામાં આવી રહ્યો છે.રવિન્દ્ર પાલ નર્મદાની સાથે ગંગા નદીની માટીનો સંયોગ કરીને વાંસના આધાર પર 10 ઇંચથી 6 ફૂટ સુધીની આકર્ષક મૂર્તિઓ બનાવે છે. તેઓ જણાવે છે કે ભક્તોને અપાતી મૂર્તિમાં માત્ર કળા જ નહીં, પરંતુ પવિત્રતા અને શુદ્ધતા હોવી જરૂરી છે. નદીની માટીથી બનેલી આ મૂર્તિઓ વિસર્જન બાદ એકથી દોઢ કલાકમાં સંપૂર્ણ પીગળી જાય છે, જેથી જળપ્રદૂષણ થતું નથી.ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે લોકોમાં ઇકો-ફ્રેન્ડલી ગણપતિ સ્થાપનાનો ઉમળકો વધારે જોવા મળી રહ્યો છે. બીજી તરફ શહેરમાં ગણપતિજીની શોભાયાત્રા અને શાળાઓમાં તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે રવિન્દ્ર પાલ જેવા કલાકારો પર્યાવરણ સંરક્ષણ સાથે પોતાની આજીવિકા પણ જાળવી રહ્યા છે.
