ભરૂચ જિલ્લામાં ગણેશ મંડળો શ્રીજી સ્થાપનાને આખરી ઓપ આપવામાં જોતરાયાં
જિલ્લામાં ૧ હજારથી વધુ નાના-મોટા પંડાલમાં અવનવા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના થશે
। ભરૂચ ।
ભરૂચ શહેર જિલ્લામાં ગણેશ મહોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામામાં ગણેશ મંડળો જોતરાઈ ગયો છે. આગામી ૧૦ દિવસ સુધી જિલ્લામાં લોકો શ્રીજીની સેવામાં લાગી જાશે. છેલ્લા દિવસે અન્ય જિલ્લામાંથી લવાતી ગણેશ પ્રતિમાઓને કારણે કેટલાંક વાહનો ધીમા પડતા ટ્રાફિકનો પ્રશ્ન સર્જાયો હતો. ગણેશ સ્થાપના માટે બુધવારે સવારના ૧૧.૦૯થી બપોરના ૧૨.૪૫ વાગ્યા સુધનો સમય શુભ સમય હોવાનું જ્યોતિશોએ જણાવ્યું છે.
ભાદ્રપદની ચતુર્થી એટલે કે ગણેશ ચતુર્થીને લઈને ભરૂચ શહેર જિલ્લામાં શ્રીભક્તોમાં અનેરો ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે. યુવા મંડળો ઢોલ નગરાના તાલે અને ડીજેની ધૂનમાં મદમસ્ત બની રંગેચંગે નાચતા-કુદતા શ્રીજીની પ્રતિમાઓને લાવી રહ્યાં છે. આગામી દશ દિવસ સુધી શ્રીજી ભક્તો ગણપતિની અરાધના અને પુજાપાઠમાં જોતરાઈ જશે. શહેર જિલ્લામાં અલગ અલગ સ્થળે યુવક મંડળો દ્વારા ભાતભાતના ડેકોરેશન સાથે અવનવી થીમ સાથે મંડપ બનાવ્યાં છે. ત્યારે કેટલાંક મંડળોમાં હજી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. બુધવારે ગણેશ ચતુર્થીના દિવસે શહેર-જિલ્લામાં શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરશે. ત્યારે તહેવારને લઈને જિલ્લાની પોલીસ પણ ચુસ્ત બંદોબસ્તમાં જોતરાઈ ગઈ છે. શહેરી વિસ્તારમાં થોડા થોડા સમયાંતરે શ્રીજીની સવારીઓ જોવા મળી રહી હતી. આગામી દશ દિવસ સુધી ગણેશ પંડાળો ભાવીભક્તોની ભીડથી ઉમટશે. તેમાંથ શ્રીજીના વિવિધ પ્રકારની પ્રતિમાઓના દર્શન માટે નાના ભુલકાઓ પણ ઉમટી પડશે.
ભરૂચ જિલ્લાના ખાડા વિઘ્નહર્તાના આગમનમાં વિઘ્નરૂપ બન્યાં ભરૂચ શહેરમાં જ નાની મોટી એવી ૫૦૦ જેટલી શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવે છે. ત્યારે મોટા મંડળના યુવા કાર્યકરો અને યુવાનો તેમના ગણેશની પ્રતિમાઓને ગંતવ્ય સ્થળ સુધી લઈ જવા માટે ડીજે વગાતાં વગાડતાં લઈ જઈ રહ્યાં છે. ત્યારે રસ્તા પરના ખાડાઓ શ્રીજી ભક્તો માટે આફતરૂપ સાબીત થઈ રહ્યાં છે. શહેરમાં પડેલાં ખાડાઓને કારણે પ્રતિમાં ખંડિત થવાની ભીતિ ભક્તોને સતાવી રહી હતી. ત્યારે આગામી દિવસોમાં વિસર્જનના દિવસ પહેલાં પાલિકા દ્વારા રસ્તાના ખાડાઓનું સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
