દહેજની બેઈલ કંપનીમાં સમગ્ર ડ્રગ્સનો નિકાલ કરવામાં આવ્યો
ભરૂચ.
ભરૂચ જિલ્લાભરમાં અલગ અલગ ૧૪ પોલીસ સ્ટેશનોમાં નાર્કોટિક્સના ૩૭ ગુનાઓમાં ઝડપાયેલાં ૬.૧૧ કરોડના ડ્રગ્સના નિકાલની કવાયત ભરૂચ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દહેજમાં આવેલી બેઈલ કંપનીમાં તમામ મુદ્દામાલનો ઈન્સીનેટરમાં ૧૨૦૦ ડિગ્રીના તાપમાનમાં નાશ કરવામાં આવ્યો હતો.
ભરૂચ જિલ્લામાં નો ડ્રગ્સ કેમ્પેઈન અંતર્ગત સતત ગાંજો, એમડી ડ્રગ્સ સહિતના નાર્કોટિક્સનું વેચાણ કરનારાઓ પર જિલ્લા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જિલ્લાના અલગ અલગ ૧૪ પોલીસ સ્ટેશનોમાં કુલ ૩૭ નાર્કોટિક્સના ગુના નોંધાયાં હતાં. જેમાં પોલીસે કુલ ૬.૧૧ કરોડથી વધુની મત્તાનો વિવિધ પ્રકારના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો હતો. દરમિયાનમાં જિલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા ડ્રગ્સના નિકાલ માટે ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં કમિટીના અધ્યક્ષ અને જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા તેમજ સભ્યો ડીવાયએસપી અંક્લેશ્વર ડો. કુશલ ઓઝા તેમજ એસઓજી પીઆઈ એ. એ. ચૌધરીએ તમામ ડ્રગ્સના નિકાલ માટેનું આયોજન કર્યું હતું. કમિટીએ દહેજમાં આવેલી બેઈલ કંપનીમાં તમામ નાર્કોટિક્સ મુદ્દામાલનો સાયન્ટીફિક રીતે નિકાલ કરવાની કવાયત હાથ ધરી હતી. તમામ ૬.૧૧ કરોડની મત્તાનો જથ્થો બેઈલ કંપનીના ઈન્સીનેટરમાં ૧૨૦૦ ડિગ્રીના તાપમાનમાં સળગાવી દઈ નાશ કરાયો હતો.
નાશ કરાયેલાં જથ્થામાં ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ૩, સી ડિવિઝન પોલીસ સ્ટેશનના ૭, ભરૂચ તાલુકા પોસ્ટેના ૪ સહિત પાલેજના ૩, નબીપુરના ૩, દહેજના ૨, અંકલેશ્વર એ ડિવિઝનના ૨, બી ડિવિઝનના ૧, અંક્લેશ્વર રૂરલના ૩ કેસ સહિત પાનોલીના ૧, નેત્રંગના ૨, વાગરાના ૨, વાલિયાના ૨ અને જંબુસરના એક કેસનો મુદ્દામાલનો નિકાલ કરવામાં આવ્યો હતો.
