ભરૂચ જિલ્લામાં હાલ ગણેશોત્સવની ધામધૂમ સાથે ઉજવણી ચાલી રહી છે. શહેરના વિવિધ મંડળો અનોખી થીમ અને સંદેશાત્મક શણગાર સાથે પંડાલોને આકર્ષક બનાવી રહ્યા છે. આવી જ એક અનોખી પહેલ ભરૂચના બળેલી ખો વિસ્તારમાં જોવા મળી રહી છે, જ્યાં શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આ વર્ષે “આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિઓ”ના પ્રચાર માટે ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. ભારતીય ઋષિમુનિઓએ શોધેલી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓ જેમ કે આયુર્વેદ, યોગ, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી, જેને ભારત સરકારનું આયુષ મંત્રાલય પ્રોત્સાહન આપે છે, તેને આધારે આ પંડાલનું શણગાર કરવામાં આવ્યું છે. આ મંડળનો હેતુ જનસામાન્યમાં ભારતીય ચિકિત્સા પદ્ધતિઓ પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.મંડળના આગેવાન શ્રી સાગર સેલાટે જણાવ્યું હતું કે, “છેલ્લા ૩૩ વર્ષથી અમે સ્વહસ્તે તૈયાર કરેલી પ્રતિમાઓ દ્વારા ગણેશોત્સવ ઉજવી રહ્યા છીએ. આ માત્ર એક ધાર્મિક વિધિ નહીં, પણ કલા, સંસ્કૃતિ અને શ્રદ્ધાનો અનોખો સંગમ છે. આ વર્ષે અમે પર્યાવરણને અનુકૂળતા સાથે આયુષ ચિકિત્સા પદ્ધતિઓને પ્રોત્સાહન આપવાનો સંદેશ આપ્યો છે.”નાગરિકોમાં આ પંડાલ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. યુવક મંડળ છેલ્લા ૩૪ વર્ષથી સતત ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરી પર્યાવરણ જાગૃતિ અને સમાજ માટે અનોખો સંદેશ આપતું રહ્યું છે.
ભરૂચના બળેલી ખો વિસ્તારના શ્રીજીપુરી યુવક મંડળ દ્વારા આયુષ અને સ્વદેશી ચિકિત્સા પદ્ધતિના પ્રચાર પ્રસાર માટેની થીમ પર ઇકો-ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના
Advertisement
