હાલ સુધીમાં 200થી વધુ આત્મહત્યાના કેસ નોંધાયા બાદ તંત્ર હરકતમાં
ભરૂચ :
ભરૂચના નર્મદા નદી પર આવેલ નર્મદા મૈયા બ્રિજ પર છેલ્લા કેટલાય વર્ષોથી આત્મહત્યાના પ્રયાસોની ચિંતાજનક ઘટનાઓ બનતી આવી છે. તાજેતરની માહિતી મુજબ, અત્યાર સુધીમાં આ બ્રિજ પરથી 200થી વધુ આત્મહત્યાના કેસ નોંધાયા છે. આ ચિંતાજનક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર હવે હરકતમાં આવ્યું છે અને બંને બાજુ મજબૂત પ્રોટેક્શન રેલિંગ લગાવવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
આ કાર્ય માટે તંત્ર દ્વારા અગાઉથી જરૂરી ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હતી, અને આજે વહેલી સવારથી કામની શરૂઆત થઈ ગઈ છે. નર્મદા મૈયા બ્રિજ પર સ્ટીલના મજબૂત અને ઊંચા રેલિંગ લગાડવામાં આવી રહ્યા છે, જેથી બ્રિજ પરથી આત્મહત્યાના પ્રયાસો અટકાવવામાં મદદ મળે.
સ્થાનિક નાગરિકો અને સામાજિક સંસ્થાઓ લાંબા સમયથી આ મુદ્દે પ્રોટેક્શન રેલિંગ લગાવવાની માંગણી કરતા આવ્યા હતા. અનેક વાર બનતી ઘટનાઓને કારણે પ્રવાસીઓ અને વાહનચાલકોમાં પણ સુરક્ષા અંગે ચિંતાનો માહોલ સર્જાયો હતો. તંત્ર દ્વારા હવે આ પગલું લેવાતા રહીશોમાં રાહતનો શ્વાસ જોવા મળી રહ્યો છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે રેલિંગ લગાવ્યા બાદ બ્રિજ પરથી આત્મહત્યાના પ્રયત્નોમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે. સાથે જ, બ્રિજ પરથી પસાર થતા લોકો અને વાહનચાલકો માટે વધુ સુરક્ષિત વાતાવરણ ઉભું થશે.
વહીવટી તંત્રે નાગરિકોને અપીલ કરી છે કે કોઈપણ પ્રકારની માનસિક તણાવ અથવા કુટુંબકલહને કારણે આત્મહત્યાનો માર્ગ ન અપનાવી પરિવાર, મિત્રો અથવા કાઉન્સેલિંગ સેવાઓની મદદ લેવી જોઈએ.
