ભરૂચ શહેરમાં આ વર્ષે ગણેશોત્સવની ઉજવણી ભક્તિભાવ સાથે કરવામાં આવી હતી. દસ દિવસ સુધી ચાલેલા ઉત્સવ પછી વિસર્જનનો તબક્કો શરૂ થતાં નગરપાલિકા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં ત્રણ કૃત્રિમ કુંડ ઉભા કરવામાં આવ્યા હતા, જ્યાં ભક્તોએ પરંપરા મુજબ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું.
આ કુંડોમાં વિસર્જિત થયેલી તમામ મૂર્તિઓને નગરપાલિકાએ કાળજીપૂર્વક બહાર કાઢી અને પર્યાવરણને નુકસાન ન થાય તે માટે અંકલેશ્વર તથા દહેજ સ્થિત બેલ કંપનીના પ્લાન્ટ ખાતે મોકલવામાં આવી. ત્યાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા ૨૫૦૦થી વધુ મૂર્તિઓનો વૈજ્ઞાનિક નિકાલ કરવામાં આવ્યો છે.નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે દર વર્ષે લોકોને પર્યાવરણમિત્ર માટીની મૂર્તિઓ સ્થાપવા અપીલ કરીએ છીએ. આ વર્ષે આશરે ૩૦ ટકા ભક્તોએ માટીની મૂર્તિઓ સ્થાપી હતી, જ્યારે ૭૦ ટકા લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ સ્થાપી હતી. પ્લાસ્ટર ઓફ પેરિસ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે, તેથી આવતા વર્ષોમાં વધુમાં વધુ ભક્તો માટીની મૂર્તિઓ સ્થાપે તેવી અપેક્ષા છે.”ભરૂચ નગરપાલિકા દ્વારા બનાવાયેલા કૃત્રિમ કુંડોમાં વિસર્જન થતાં નદી-તળાવોમાં પ્રદૂષણ ઘટ્યું છે. સાથે સાથે મૂર્તિઓનો કચરો પાણીમાં ફેલાઈ ન જાય તે માટે સુચારુ વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. નગરપાલિકાએ ખાસ ટીમ બનાવીને વિસર્જન દરમિયાન ભક્તોની આસ્થા જળવાઈ રહે તે રીતે મૂર્તિઓને કાળજીપૂર્વક બહાર કાઢી બેલ કંપની સુધી પહોંચાડવાની કામગીરી હાથ ધરી હતી.
