દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને પોલીસ વિભાગની કાર્યવાહી
ભરૂચ
દિલ્હી બ્લાસ્ટની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે આતંકીઓના સાગરિતો તેમજ તેમના આકાઓને શોષવામાં રાષ્ટ્રીય સુરક્ષા દળ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ત્યારે દેશ-રાજ્યમાં સ્લિપર સેલની ભુમિકામાં કે અન્ય કોઈ રીતે આતંકીઓને મદદરૂપ થનારાઓને શોધવાની પણ કવાયત હાથ ધરાઈ છે. આવામાં દરેક જિલ્લામાં દેશવિરોધી કૃત્યમાં સંડોવણીના કેસમાં તેમજ NDPS હથિયાર, એકસપ્લોઝિવ સહિતના કેસમાં સંડોવાયેલાં અને ઝડપાયેલાં આરોપીઓની વિગતો એકત્ર કરી તેનો ડેટા એકત્ર કરવામાં આવી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં છેલ્લાં ૩૦ વર્ષમાં સંલગ્ન કેસમાં ઝડપાયેલાં ૩૦૦થી વધુ આરોપીઓની માહિતી એકત્ર કરવામાં આવી છે
દિલ્હીમાં થયેલાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાને ૧૦ દિવસ થવા આવ્યા છે. ત્યારે દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલાં આંતકી હુમલાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આતંકીઓને ફાંસીની સજા આપવા સાથે તેમના સરગનાઓને પણ ઝડપી પાડી આતંકીઓનો અંત આવે તેવી કાર્યવાહી સરકાર કરે તેવી લોકોમાં માંગ ઉઠી છે. ત્યારે દેશમાં ગમે ત્યાં સામાન્ય લોકોની વચ્ચે ભળીને આતંકીઓ પુનઃ કોઈ કૃત્યને અંજામ આપી શકે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી. જેના પગલે દેશ-રાજ્યમાં જ સ્લિપર સેલ તરીકે આતંકીઓને મદદરૂપ થનારા લોકોને શોધવા માટેની કવાયત હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે છેલ્લા ૩૦ વર્ષના ગાળામાં દેશવિરોધી કૃત્યમાં સંડોવણીના કેસમાં તેમજ NDPS, હથિયાર. એક્સપ્લોઝિવ સહિતના કેસમાં ઝડપાયેલાં આરોપીઓની વિગતો એકત્ર કરવા સરકારમાંથી પોલીસ વિભાગને તાકીદ કરવામાં આવી છે.
જેના પગલે દરેક જિલ્લામાં પોલીસને ૧૦૦ કલાકમાં જ તમામ વિગતો એકત્ર કરી રિપોર્ટ કરવા સૂચના આપવામાં આવી છે. ત્યારે ભરૂચ જિલ્લામા છેલ્લા ૩૦ વર્ષમાં સંબંધિત ગુનાઓમાં સંડોવાયેલાં કુલ ૩૦૦થી વધુ આરોપીઓની વિગતો એકત્ર કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે. ૧૯૯૫થી અત્યાર સુધમાં દેશવિરોધી કૃત્યમાં સંડોવણીના કેસમાં તેમજ NDPS હથિયાર, એક્સપ્લોઝિવ સહિતના કેસમાં સંડોવાયેલાં આરોપીઓનો ડોઝીયર તૈયાર કરી તેનો રિપોર્ટ ઉચ્ચકક્ષાએ કરવામાં આવ્યો છે.
ડોઝીયરમાં તમામ વિગતો ભરવામાં આવી સુત્રોમાંથી જાણવા મળ્યાનુંસાર, પોલીસ વિભાગ દ્વારા ડોઝીયેટ ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં જે તે આરોપીના નામથી લઈને અત્યાર સુધી તેણે શું કર્યું. ક્યાં રહેતો હતો કે પછી ક્યાં રહે છે, તેના પરિવારની વિગતો સહિત તેણે અગાઉના ગુના બાદ પુન: તેમાં સક્રિય છે કે કેમ?, હાલમાં તેનું ચાલચલણ કેવું છે? તે સહિતની વિગતો ડોઝીયેટમાં ભરવામાં આવી છે. જેને ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવ્યા છે.
ભાજપના નેતાઓની હત્યાનો મામલો એનઆઈએના હવાલે કેવાય છે કે દેશ-દુનિયામાં કોઈ મોટી ઘટના બને તો તેનો છેડો ચેનકેન પ્રકારે ભરૂચ જિલ્લા સાથે જોડાય છે. ત્યારે હાલમાં ચાલી રહેલી પક્રિયામાં દેશવિરોધી કૃત્યમાં સંડોવણીના કેસોની પણ કાર્યવાહી કરવાની થતી હતી, ત્યારે ભરૂચ જિલ્લામાં ૨૦૧૫માં ૨ નવેમ્બરના રોજ ભાજપના જિલ્લા પ્રમુખ શિરીષ બંગાળી તેમજ ભાજપના જ યુવા મોરચાના મહાસચિવ પ્રજ્ઞેશ મિસ્ત્રીની દાઉદ ગેંગના જાવેદ ચિકનાએ સોપારી આપી હત્યા કરાવી હતી. તે કેસમાં એનઆઈએ અલાયદી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હોવાથી તે કેસ સાથે સંકળાયેલાં આરોપીઓની વિગતો મેળવાઈ ન હતી.
