શૌર્ય, બલિદાન અને બાળ અધિકારો અંગે બાળકોને જાગૃત કરાયાં
| ભરૂચ |
ભારતમાં દર વર્ષે ૨૬ ડિસેમ્બરના રોજ વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. શીખ ધર્મના દસમા ગુરુ શ્રી ગુરુ ગોબિંદસિંહજીના બે નાના પુત્રો સાહિબજાદા જોરાવર સિંહજી (ઉંમર ૯ વર્ષ) અને સાહિબજાદા ફતેહ સિંહજી (ઉંમર ૬ વર્ષ)ના અદ્ભુત શૌર્ય, ધૈર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં આ દિવસ ઉજવવામાં આવે છે. આ અનુસંધાને ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ રૂંગટા વિદ્યાલય ખાતે ‘વીર બાલ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી.
આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં દેશપ્રેમ, નૈતિક મૂલ્યો, ધર્મનિષ્ઠા અને બલિદાનની ભાવના વિકસે તે માટે પ્રેરણા આપવાનો છે. ત્યારે કાર્યક્રમ અનુસંધાને અદ્ભુત શૌર્ય, ધૈર્ય અને સર્વોચ્ચ બલિદાનની સ્મૃતિમાં પ્રદશર્નિ યોજવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૯ જાન્યુઆરી, ૨૦૨૨ (ગુરુ ગોવિંદસિંહ જયંતિ) ના રોજ આ દિવસને ‘વીર બાલ દિવસ’ તરીકે ઉજવવાની જાહેરાત કરી, અને પ્રથમ વખત ૨૬ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ તેની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ માત્ર શીખ સમુદાય માટે જ નહીં, પરંતુ દેશભરના લોકો માટે સત્ય, ન્યાય અને ધાર્મિક મૂલ્યો માટે અડગ રહેવાની પ્રેરણા આપે છે.
આ સંદર્ભમાં ભરૂચ જિલ્લાની વિવિધ શાળાઓમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે નિબંધ લેખન તથા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ સાહેબઝાદાઓના શૌર્ય, ત્યાગ અને અવિસ્મરણીય બલિદાન અંગે પોતાનાં વિચારો રજૂ કર્યા હતા. સ્પર્ધાઓ દ્વારા વિદ્યાર્થીઓમાં અભિવ્યક્તિ ક્ષમતા તેમજ આત્મવિશ્વાસનો વિકાસ થયો હતો.
આ પ્રસંગે, જિલ્લા આગેવાન, પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિ ભોય, સૌરભ રાણા, શાળાના આચાર્ય દીવ્યજીતસિંહ ઝાણા, રૂણમણિદેવી રૂંગટા વિદ્યાલયના આચાર્ય અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
