આમોદ :
આમોદ શહેરના વાવડી ફળિયા ખાતે આવેલા જૂના વોટર વર્ક્સના મોટા તળાવના આશરે રૂ. 7 કરોડના ખર્ચે ચાલી રહેલા બ્યુટીફિકેશન પ્રોજેક્ટની વધુ એક વખત તપાસ હાથ ધરવામાં આવી છે. લાંબા સમયથી આ કામગીરીમાં ભ્રષ્ટાચાર, નબળી ગુણવત્તા અને બેદરકારીના આક્ષેપો ઉઠતા રહ્યા છે. મીડિયા અહેવાલો અને જાગૃત નાગરિકોની રજૂઆતોના પગલે અગાઉ પણ અનેક વખત તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ નક્કર પરિણામ સામે આવ્યું ન હતું.
સુરત સુડા ભવનમાંથી ડેપ્યુટી કલેક્ટર ગામિત સાહેબ અને તેમની ટીમ સ્થળ પર પહોંચી હતી. તેમણે તળાવ પરિસરની વિસ્તૃત મુલાકાત લઈ ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન ટી.પી.આઈ. કન્સલ્ટન્ટ, સંબંધિત વિભાગના અધિકારીઓ, આમોદ નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન તેમજ એન્જિનિયરો પણ ઉપસ્થિત રહ્યા હતા.
તપાસ દરમિયાન મીડિયા પ્રતિનિધિઓએ કામગીરી અંગે પ્રશ્નો પૂછતા તપાસ અધિકારીએ સ્વીકાર્યું હતું કે કામમાં અનેક પ્રકારની ક્ષતિઓ જોવા મળી છે. તેમણે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક તમામ ખામીઓ દૂર કરવા સૂચના આપવામાં આવશે અને કામગીરી ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ કરાવવામાં આવશે. જરૂર જણાશે તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
જોકે, સ્થાનિકોમાં ચર્ચા છે કે અગાઉ પણ અનેક વખત તપાસો થઈ હોવા છતાં જો ફરીથી કામમાં ક્ષતિઓ સામે આવી રહી છે, તો તેની જવાબદારી કોની નક્કી થશે? સરકારના કરોડો રૂપિયાના જાહેર નાણાંનો યોગ્ય અને પારદર્શક ઉપયોગ થશે કે પછી આ મામલો પણ માત્ર કાગળ પરની કાર્યવાહી સુધી જ સીમિત રહેશે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે.
