ભરૂચ :
ભરૂચના નંદેલાવર રોડ પર આવેલી રજનીગંધા સોસાયટી સ્થિત સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુના ગુરુ આશ્રમ ખાતે ગુરુપૂર્ણિમા પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગુરુપૂજન, ભજન-સત્સંગ અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
ગુરુપૂર્ણિમાના પવિત્ર અવસરે વહેલી સવારથી જ ભાવિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તોએ લાંબી કતારોમાં ઉભા રહી ગાદીપતિ સોમદાસ બાપુનું પૂજન-અર્ચન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આશ્રમમાં ભક્તિમય વાતાવરણ છવાયેલું રહ્યું હતું.
આ પ્રસંગે ગાદીપતિ સોમદાસ બાપુએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, જીવનમાં સાચી શાંતિ અને પરમાત્માની પ્રાપ્તિ માટે સદાચાર અને સત્સંગનું મહત્વ ખૂબ જ છે. તેમણે સમાજને પાન, પડીકી, સિગારેટ તેમજ દારૂ જેવા વ્યસનોથી દૂર રહી સત્સંગી જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.
કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ પ્રસાદનો લાભ લીધો હતો.
