મા નર્મદાની ભક્તિ અને સેવાનો અનોખો સંગમ: શુકલતીર્થની બે બહેનોની સેવાકીય જ્યોતને રાજ્ય સરકારનું પ્રોત્સાહન
ભરૂચ
નર્મદાનો અર્થ જ થાય છે. આનંદ આપનાર, પવિત્ર નદી નર્મદામાં માત્ર સ્નાન કરવાથી સર્વ પાપો નષ્ટ થાય છે. દર્શન માત્રથી પુણ્ય મળે છે અને નદીના સ્પર્શથી મોક્ષ પ્રાપ્ત થાય છે. પવિત્ર નર્મદા નદીના દર્શન માત્રને પાપક્ષય માનવામાં આવે છે. નર્મદા પરિક્રમાની પરંપરા અતિપ્રાચીન સમયથી ચાલી આવે છે અને તેનો ઉલ્લેખ વૈદિક તથા પૌરાણિક સાહિત્યમાં મળે છે, નર્મદા પરિક્રમાને મહાપુણ્યદાયક યાત્રા ગણવામાં આવી છે. અમરકંટકને ઉદભવ સ્થાન માનીને બંને કાંઠે પગપાળા જવાની પરંપરા ઘડાઈ, જે અનંત કાળથી અનવરત છે. આ યાત્રા ભારતની તીર્થયાત્રા પરંપરામાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નર્મદા પરિક્રમા વિશે કહે છે કે “નર્મદા પરિક્રમા મનુષ્યના અભિમાનનો નાશ કરે છે, મનુષ્યને બધા જ બંધનોમાંથી મુક્ત કરે છે અને મજબૂત બનાવે છે.”
ભરૂચ જિલ્લાના ઐતિહાસિક શુકલતીર્થ ગામના બે બહેનો, જ્યોતિબેન અને જયશ્રીબેન, આ સેવાના વારસાને ખરા અર્થમાં દીપાવી રહ્યા છે. પોતાના દાદીમા પાસેથી મળેલા સેવાના સંસ્કારોને જાળવી રાખીને આ બંને બહેનો મા નર્મદાની પરિક્રમાએ નીકળેલા હજારો શ્રદ્ધાળુઓ માટે ભોજન અને રહેઠાણની નિઃશુલ્ક વ્યવસ્થા કરી રહી છે. કોઈપણ સંસ્થાકીય સહાય વગર, સંપૂર્ણપણે સ્વ-ખર્ચે અવિરત ચાલતો તેમનો આ ‘સેવારથ’ આજે અનેક લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે. તેમની આ અનન્ય અને પ્રેરણાદાયી સેવાકીય કામગીરીની નોંધ રાજ્ય સરકાર દ્વારા પણ લેવામાં આવી છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ બંને બહેનોના સમર્પણને બિરદાવતા વિશેષ અભિનંદન પાઠવ્યા છે. આ ઉપલક્ષમાં ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ શુકલતીર્થની રૂબરૂ મુલાકાત લઈ, અભિનંદન પાઠવી ગુજરાત સરકાર દ્નારા એનાયત કરવામાં આવેલ પ્રશસ્તિપત્ર અર્પણ કર્યું હતું. ભક્તિ અને સેવાના આ અનોખા સંગમે સમગ્ર પંથકમાં આસ્થાની સાથે માનવતાની મહેક પ્રસરાવી છે.
