ભરૂચ : આવનારી નગરપાલિકા ચૂંટણીને લઈ સ્થાનિક ઉમેદવારોને પ્રાથમિકતા આપવા માંગ સાથે કોંગ્રેસના કાર્યકર દ્વારા રજૂઆત કરવામાં આવી છે. અંકલેશ્વરના કાર્યકર નૂર મહંમદ અહેમદ કુરેશીએ આ અંગે પત્ર લખી સ્થાનિક લોકોને ઉમેદવાર તરીકે પસંદ કરવાની માંગ ઉઠાવી છે.
પત્રમાં જણાવ્યા મુજબ, છેલ્લાં 30-35 વર્ષથી કોંગ્રેસ પાર્ટી સત્તાથી દૂર જઇ રહી છે. ત્યારે લોકોની અપેક્ષામાંથી કોંગ્રેસ દૂર કેમ થઇ રહી છે તેનું કારણ જાણવું જરૂરી છે. તે પૈકીનું એક મુ્ખ્ય કારણ છે કે, ઉમેદવારી પસંદગી સ્થાનિક લોકોને પુછીને કર્યાં બાદ ઉમેદવાર જાહેર કરવો જોઇએ. આજ સુધી સિલેક્શન કમિટી એવા ઉમેદવારોને ટિકીટ આપે છે કે જે ફોર્મ ભરતાન સાથે જાતે જ પોતાને હારેલો જાહેર કરી દે છે. ત્યારે એવા ઉમેદવારોને ટિકીટ આપવી જોઇએ કે જે પક્ષના જોરે નહીં પણ પોતાની જાત પર મતદારોને પોતાની તરફ વાળી શકે તો જ પક્ષને તેનો ફાયદો મળી શકે.
બીજી મહત્વની બાબત એવી છે કે, લોકોમાં કોંગ્રેસની કાર્યપ્રણાલીને લઇને અનેક તર્કવિતર્ક સર્જાયાં છે.લોકોમાં ચર્ચા છે કે, કોંગ્રેસમાં ફિક્સિંગ કરી ટિકીટ ફાળવણી થાય છે. એવા લોકોની જ ઉમેદવાર તરીકે પસંદગી કરાય છે તે હારી જાય. ત્યારે નગરપાલિકાના ચૂંટણીમાં સ્થાનિક લોકોને મળી તેમને વિશ્વાસમાં લઇને જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે.
