વાંકલ : સુરત જિલ્લાના માંગરોળ ખાતે માર્ગ માર્જિનમાં આવેલા દબાણો સામે તંત્ર દ્વારા મેઘા ડિમોલેશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ચાંડાલ ચોકડીથી ગાયત્રી પીઠ મંદિર સુધી ચાલેલી આ ઝુંબેશ દરમિયાન માર્ગ માર્જિનમાં આવતા 53 જેટલા મકાનધારકોને અગાઉથી નોટિસ ફટકારવામાં આવી હતી.
તંત્ર દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન 30થી વધુ ઓટલા અને શેડ તોડી પાડવામાં આવ્યા હતા. ઉપરાંત માર્ગ માર્જિનની હદમાં આવતા ચાર મકાનોનું પણ ડિમોલેશન કરવામાં આવ્યું હતું. બીજી તરફ અનેક લોકોએ તંત્રની સૂચના બાદ માર્જિનમાં આવેલા પોતાના બાંધકામો સ્વૈચ્છિક રીતે દૂર કર્યા હતા.
કાર્યવાહી દરમિયાન ગાયત્રી પીઠ મંદિરનો કમ્પાઉન્ડ વોલ પણ રોડ માર્જિનમાં આવતો હોવાથી તેને પણ દૂર કરવામાં આવ્યો હતો. સમગ્ર ડિમોલેશન કામગીરી દરમિયાન માંગરોળ મામલતદાર કચેરી, માર્ગ અને મકાન વિભાગ સહિતના અધિકારીઓ સ્થળ પર હાજર રહી કામગીરીનું નિરીક્ષણ કરતા રહ્યા હતા.
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બે PI, બે PSI સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને GRDના કર્મચારીઓને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. ભારે પોલીસ કાફલા વચ્ચે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરવામાં આવી હતી.
