વાલીયા તાલુકાની ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી શ્રી ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લિમિટેડ ખાતે આજરોજ ખેડૂત પ્રતિનિધિ સભા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ હતી. જેમાં અંકલેશ્વર, વાલીયા, માંગરોળ, ભરૂચ, ઝઘડીયા, નેત્રંગ, હાંસોટ તેમજ નર્મદા જિલ્લાના મોટી સંખ્યામાં ખેડૂતો અને સભાસદોએ હાજરી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષોથી ખેડૂતો આ સંસ્થામાં શેરડીનું વાવેતર કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી સુગર મિલને લગતા અનેક પ્રશ્નો ખેડૂતોને મૂંઝવી રહ્યા હતા. ગત વર્ષે અંદાજે બે લાખ ટન શેરડીનું પિલાણ થયું હતું, જે અપેક્ષા કરતાં ઓછું આવતાં કેટલાક તત્વોએ સુગર મિલ બંધ થવાની અફવા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ખેડૂત સભાસદોના સહકાર અને સંસ્થાના પ્રયત્નોથી ગણેશ ખાંડ ઉદ્યોગનું અસ્તિત્વ જાળવી રાખવામાં સફળતા મળી હોવાનું સભામાં જણાવાયું હતું.
સભામાં સંચાલક મંડળ દ્વારા ખેડૂતોને વિશ્વાસ અપાયો હતો કે આવનારા સમયમાં ઝોન પ્રમાણે ખેડૂતોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવશે. ખેડૂતો પાસેથી અગાઉ કપાયેલા ₹75 તેમજ તેના ઉપરના 6 ટકા વ્યાજ સાથેની રકમ સભાસદોને પરત ચૂકવવામાં આવશે. ઉપરાંત ઘરે ઘરે પહોંચી ખેડૂતોને સમજાવી વધુમાં વધુ શેરડીનું વાવેતર કરવા પ્રોત્સાહિત કરવામાં આવશે, જેથી આગામી સમયમાં પાંચ લાખ ટન શેરડીનું પિલાણ કરવાનો લક્ષ્યાંક હાંસલ થઈ શકે.
સંસ્થાના સભાસદોની સંખ્યા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. અગાઉ આશરે 11 હજાર સભાસદો ધરાવતી સંસ્થા આજે વારસાઈ સહિત વધીને 19 હજારથી વધુ સભાસદો ધરાવતી બની છે.
આ પ્રસંગે વટારિયા સુગરના ચેરમેન મહેન્દ્રસિંહ મહિડા, વાઇસ ચેરમેન યુગેન્દ્રસિંહ મહિડા, ડિરેક્ટર નીપુલભાઈ પટેલ, ચંદન વસાવા, જીતેન્દ્રસિંહ કંટવા, ધમેન્દ્રસિંહ તવરા સહિત માજી ડિરેક્ટરો તથા મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો હાજર રહ્યા હતા.
સભાના અંતે નવા ચૂંટાયેલા ડિરેક્ટરો અને કર્મચારીઓને ખેડૂતોનો પૂરતો સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી. “એક સભાસદ – એક એકર શેરડી”નો સંકલ્પ લઈ જો દરેક ખેડૂત સંસ્થાને સહયોગ આપે તો ગણેશ ખાંડ ઉદ્યોગને રાજ્યમાં પ્રથમ ક્રમે આવતાં કોઈ રોકી શકશે નહીં તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
