ભરૂચ :
ભરૂચ જિલ્લાના કવિઠા ગામના આદિવાસી યુવાન કિર્તન અમૃતલાલ વસાવાના આત્મહત્યા કેસમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC)એ વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી છે. આયોગે ભરૂચના પોલીસ અધિક્ષક (SP)ને બીજી વખત રિમાઇન્ડર નોટિસ પાઠવી 8 ઓગસ્ટ, 2026 સુધીમાં એક્શન ટેકન રિપોર્ટ (ATR) રજૂ કરવા જણાવ્યું છે.
ફરિયાદકર્તાના જણાવ્યા મુજબ, તેમના દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે NHRCએ 10 ફેબ્રુઆરી, 2026ના રોજ ભરૂચના પોલીસ અધિક્ષકને કેસ અંગે ATR રજૂ કરવા નિર્દેશ આપ્યો હતો. જોકે નિર્ધારિત સમયમર્યાદા પૂર્ણ થયા બાદ પણ આયોગ સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો ન હોવાનું જણાવાયું છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી NHRCએ 15 જુલાઈ, 2026ના રોજ બીજી વખત રિમાઇન્ડર નોટિસ જારી કરી છે અને 8 ઓગસ્ટ સુધીનો અંતિમ સમય આપ્યો છે. સાથે જ આયોગે ચેતવણી આપી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં પણ ATR રજૂ નહીં કરવામાં આવે તો માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ, 1993ની કલમ-13 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
ફરિયાદકર્તાએ જણાવ્યું છે કે આ કેસ માત્ર એક વ્યક્તિ કે એક પરિવાર પૂરતો મર્યાદિત નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજના ન્યાય અને માનવ અધિકારો સાથે સંકળાયેલ ગંભીર મુદ્દો છે. તેમણે આ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા સતત દેખરેખ રાખવા બદલ આભાર વ્યક્ત કર્યો છે.
સાથે જ ફરિયાદકર્તાએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્રને કેસની નિષ્પક્ષ તપાસ કરીને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ મૃતકના પરિવારને વહેલી તકે ન્યાય અપાવવા અપીલ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જો આયોગના આદેશોની અવગણના ચાલુ રહેશે તો તેઓ કાયદાકીય અને લોકશાહી માધ્યમોથી લડત આગળ વધારશે.
