ભરૂચ જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. તે અંતર્ગત ભરૂચ એસ.ઓ.જી. ટીમે પાંચ વર્ષથી ફરાર ચાલી રહેલા સજા પામેલ આરોપીને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષયરાજના માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના આધારે એસ.ઓ.જી. ભરૂચના પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયાએ ટીમને ખાસ સૂચનાઓ આપી કામગીરી હાથ ધરી હતી.
દરમિયાન એસ.ઓ.જી.ની ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે મહેરબાન ચોથા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, ભરૂચની કોર્ટના ક્રિમિનલ કેસ નંબર 604/2021ના આરોપી હિરેનભાઈ કનુભાઈ રાવળ રહે. રાવળ ફળિયું, દાંડિયા બજાર પોલીસ ચોકી પાછળ, ભરૂચને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આરોપી સામે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબનો ગુનો નોંધાયો હતો અને કોર્ટ દ્વારા તેને છ માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી હતી. સજા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને એસ.ઓ.જી. ટીમે ડિટેઇન કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપ્યો છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એ.વી. પાણમિયા, એએસઆઈ વરસનભાઈ શંકરભાઈ, એએસઆઈ ગજેન્દ્રસિંહ જેણસિંહ તથા હેડ કોન્સ્ટેબલ નરેશભાઈ અંબારામભાઈએ સફળતાપૂર્વક પાર પાડી હતી.
