ભરૂચ જિલ્લાના ઓસારા ગામથી કવિઠા તરફ જતાં રોડ પર મહાકાળી મંદિર નજીક આવેલા વળાંક પાસે એસટી બસ અને મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાતા એક યુવકનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના ભરૂચ ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ચંદ્રસિંહ ફતેસિંહ પરમાર ગુરુવારે સવારે પોતાની ફરજ પર હાજર થયા હતા. તેમની ડ્યૂટી ભરૂચથી સિંધોત જતી લોકલ બસ પર હતી. તેઓ કંડક્ટર ગણપતભાઈ કાંતિભાઈ મિસ્ત્રી સાથે GJ-18-Z-8836 નંબરની એસટી બસમાં આશરે 13 મુસાફરોને લઈને ભરૂચ ડેપોથી નીકળ્યા હતા.
સવારે આશરે 9:45 વાગ્યે ઓસારા ગામથી કવિઠા તરફ જતાં રોડ પર મહાકાળી મંદિર નજીકના વળાંક પાસે પહોંચતા સામે તરફથી એક હીરો સ્પ્લેન્ડર બાઈક (GJ-16-CQ-1930) પર ત્રણ સવારી આવી રહી હતી. આરોપ છે કે બાઈક ચાલક રોંગ સાઈડમાં અને પૂરઝડપે ગફલતભરી રીતે વાહન ચલાવી રહ્યો હતો.
રસ્તાના વળાંક પર બાઈક અચાનક એસટી બસ સામે આવી જતા બાઈક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બસ ડ્રાઈવરે તાત્કાલિક બ્રેક મારી બસ ઉભી રાખી હોવા છતાં બાઈક બસની ડાબી બાજુ અથડાઈ હતી.
અકસ્માત બાદ બસ સ્ટાફ નીચે ઉતરી તપાસ કરતા બાઈક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં જોવા મળ્યો હતો, જ્યારે પાછળ બેઠેલા બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ઘટના સ્થળે લોકો ભેગા થતાં 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું કે બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓ અંગારેશ્વર ગામના સુનીલભાઈ વસાવા, દુર્ગેશભાઈ વસાવા અને કૌશિકભાઈ વસાવા હતા. સારવાર દરમિયાન ડોક્ટરે સુનીલભાઈ વસાવાને મૃત જાહેર કર્યા હતા.
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી અને અકસ્માત અંગે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
