ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ વિસ્તારમાં આવેલી ૧૫થી વધુ સોસાયટીમાં આવેલાં એક હજારથી વધુ મકાનોમાં રહેતાં લોકો છેલ્લા કેટલાંય સમયથી રોડ-રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટ તથા વરસાદી પાણીના નિકાલ જેવી માળખાકિય સુવિધાઓના અભાવને કારણે પરેશાની વેઠી રહ્યાં હોવાના આક્ષેપ સાથે સ્થાનિકોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. ઉપરાંત વોર્ડ ન. ૧ના કાઉન્સિલરે તેમને વોટ ન આપ્યાં હોઈ તેમના કામ નહીં થાય તેવી ચીમકી આપી હોવાનો પણ આક્ષેષ તેમણે કર્યો છે.
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં આવેલી ૧૫થી વધુ સોસાયટીમાં રહેતાં લોકો છેલ્લાં કેટલાંય સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારમાં રોડ રસ્તા પર મસમોટા ખાડા પડી ગયાં હોવાને કારણે રોડ પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે. ઉપરાંત કેટલાંક સ્થળે રોડના સળિયા બહાર આવી ગયાં હોઈ તેના કારણે ગંભીર ઘટના બને તેવી દહેશત ફેલાઈ છે. બીજી તરફ વિસ્તારમાં અનેક સ્થળે સ્ટ્રીટ લાઈટો પણ નથી. ત્યારે રાત્રીના સમયે આવા રસ્તા પરથી પસાર થવાને કારણે મોટી હોનારત સર્જાઈ શકે છે તેવો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. સ્થાનિકોએ તેમની રજૂઆત પાલિકા પ્રમુખને કરી વહેલી તકે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ કરી છે. ત્યારે આગેવાનોએ આક્ષેપ કર્યા હતાં કે, સ્થાનિક કોર્પોરેટરને રજૂઆત કરવા જાય ત્યારે ચૂંટણીમાં તમે મને વોટ આપ્યો નથી, એટલે તમારૂ કામ નહીં થાય તેમ કહેવામાં આવે છે. જોકે, સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં મુસ્લીમ સમાજનો તહેવાર આવી રહ્યો છે તો તે પહેલાં રોડ, રસ્તા તેમજ સ્ટ્રીટ લાઈટ સહિતના કામો કરી દેવામાં આવે તેવી માગ તેમણે કરી હતી.
