ભરૂચ :
ભરૂચ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સીટી ‘એ’ ડિવિઝન પોલીસની ટીમે આચાર્ય મંદિર જી.ઈ.બી. નજીક આવેલી વિજય સિક્યુરિટી સર્વિસ એજન્સી ખાતે તપાસ હાથ ધરતાં નિયમોના ભંગનું પ્રકરણ સામે આવ્યું હતું.
પોલીસ તપાસ દરમિયાન એજન્સીમાં ફરજ બજાવતા સુરક્ષાકર્મીઓના વેરિફિકેશન અંગે નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હોવાનું સામે આવ્યું હતું. તપાસમાં એજન્સીમાં કુલ 12 સિક્યુરિટી ગાર્ડ નોકરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. તે પૈકી 10 ગાર્ડનું પોલીસ વેરિફિકેશન પૂર્ણ કરાવવામાં આવ્યું હતું, જ્યારે અન્ય 2 ગાર્ડનું વેરિફિકેશન બાકી હોવાનું સામે આવ્યું હતું.
આ ઉપરાંત એજન્સીના સંચાલક દ્વારા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભરૂચના જાહેરનામાનું પણ પાલન કરવામાં આવ્યું ન હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. સુરક્ષા એજન્સીઓમાં કામ કરતા કર્મચારીઓનું યોગ્ય વેરિફિકેશન કરાવવું જરૂરી હોવા છતાં બે ગાર્ડનું વેરિફિકેશન બાકી રાખવામાં આવ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આ મામલે પોલીસે એજન્સીના સંચાલક ચંદ્રભાન ત્રિલોકનાથ મિશ્રા વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 223(બી) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓ દ્વારા નિયમોનું પાલન થાય છે કે નહીં તે અંગે આગામી દિવસોમાં પણ ચેકિંગ હાથ ધરાય તેવી શક્યતા છે.
