ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (GSRTC) દ્વારા દૈનિક અપડાઉન કરતા મુસાફરો, નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ માટે એક મહત્વપૂર્ણ અને લોકહિતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. ST વિભાગે દૈનિક મુસાફર પાસ યોજનામાં રાહતનો દાયરો વધારીને મુસાફરોને સીધો 50 ટકા સુધીનો આર્થિક લાભ આપવાની જાહેરાત કરી છે.
શું થયો નવો ફેરફાર?
માસિક પાસ (30 દિવસ): અગાઉ મુસાફરોએ 18 દિવસના ભાડાની રકમ ચૂકવવી પડતી હતી, પરંતુ હવે માત્ર 15 દિવસના ભાડામાં આખા 30 દિવસ મુસાફરી કરી શકાશે.
ત્રિમાસિક પાસ (90 દિવસ): અગાઉ 90 દિવસની મુસાફરી માટે 54 દિવસનું ભાડું વસૂલવામાં આવતું હતું, જે હવે ઘટાડીને માત્ર 45 દિવસનું ભાડું કરી દેવામાં આવ્યું છે.
2.5 લાખથી વધુ મુસાફરોને મળશે સીધો ફાયદોએસટી નિગમના આ નિર્ણયથી રાજ્યભરમાં રોજિંદું અપડાઉન કરતા 2.5 લાખથી વધુ મુસાફરોના ખિસ્સાનો ભાર હળવો થશે. ખાસ કરીને ગ્રામ્ય અને શહેરી વિસ્તારો વચ્ચે નોકરી કે ધંધા અર્થે મુસાફરી કરતા વર્ગ માટે આ નિર્ણય વરદાનરૂપ સાબિત થશે. વધુ ને વધુ લોકો ખાનગી વાહનો છોડી જાહેર પરિવહનનો ઉપયોગ કરે અને લોકોના મુસાફરી ખર્ચમાં બચત થાય તેવા આશયથી સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.
