ભરૂચ.
ભરૂચ શહેરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જેમાં ફરજ પર કાર્યરત મહિલા પોલીસ કોન્સ્ટેબલે આપઘાત કરી લેતાં સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર અને શોક વ્યાપી ગયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરલા ગામની રહેવાસી અને હાલ ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી 27 વર્ષીય પ્રીતિ ઉદેસિંહ પરમારે ગત રાત્રે પોતાના રહેણાક રૂમમાં ગળાફાંસો ખાઈ જીવનલીલા સમાપ્ત કરી દીધી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા.
બી ડિવિઝન પોલીસની મદદથી મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તબીબોની પેનલ દ્વારા પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.
આ આપઘાત પાછળનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતકના પરિવારજનો તેમજ સહકર્મીઓની પૂછપરછ કરીને ઘટનાના કારણ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
વિશેષ નોંધનીય બાબત એ છે કે ઘટનાના થોડા કલાકો અગાઉ પ્રીતિ પરમાર પોતાની કચેરીમાં સહકર્મીઓ સાથે સામાન્ય રીતે વાતચીત કરતી જોવા મળી હતી. ફરજ દરમિયાન તેઓએ સ્ટાફ સાથે નાસ્તો અને પાણીપૂરી પણ કરી હતી, જેથી અચાનક લીધેલા આ પગલાંને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે.
છેલ્લા પાંચ વર્ષથી ભરૂચ પોલીસબેડામાં LIB શાખામાં ફરજ બજાવી રહેલી પ્રીતિના અવસાનથી સાથી કર્મચારીઓમાં પણ ભારે શોકની લાગણી જોવા મળી રહી છે. પોલીસ વિભાગ હવે આપઘાત પાછળના સાચા કારણ સુધી પહોંચવા માટે તમામ દિશામાં તપાસ આગળ ધપાવી રહ્યો છે.
