અંકલેશ્વર શહેરમાં મતદાર યાદી સુધારા (SIR) મુદ્દે રજૂઆત કરવા ગયેલા કોંગ્રેસના કાર્યકરોને પોલીસે અટકાયત કરતા રાજકીય તણાવ ઉભો થયો છે. ચૌટા બજાર પોલીસ સ્ટેશન ખાતે થયેલી આ કાર્યવાહી બાદ કોંગ્રેસ પક્ષે તાત્કાલિક વિરોધ નોંધાવી પોલીસ સ્ટેશન સામે શાંતિપૂર્ણ ધરણા પર બેઠા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અટકાયત સામે વિરોધ દર્શાવવા માટે કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા સહિતના આગેવાનો અને કાર્યકરો પોલીસ સ્ટેશન ખાતે એકત્રિત થયા હતા. ધરણામાં શેરખાન પઠાણ, શકીલ અકુજી, ધનરાજ વસાવા, વિપુલ વસાવા, શરીફ કાનુગા અને તારિક શેખ સહિત અનેક કાર્યકરો જોડાયા છે. પક્ષે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી તમામ અટકાયત કરાયેલા કાર્યકરોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું કે મતદાર યાદી સુધારા બાબતે અવાજ ઉઠાવવો એ લોકશાહી હક છે, તેને દબાવવાનો પ્રયાસ સ્વીકાર્ય નથી. તેમનો આરોપ છે કે રાજકીય દબાણ હેઠળ પોલીસ તંત્રનો ઉપયોગ કરીને વિરોધને અટકાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે બંધારણની ભાવનાના વિરોધમાં છે. આ ઘટનામાં અટકાયત કરાયેલા કાર્યકર શોએબ ઝઘડીયાવાળાએ જામીન લેવા ઈનકાર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. તેમણે કોઈપણ શરતે નિર્દોષ રીતે મુક્ત થવાની માગ રાખી છે, જેના કારણે મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
પોલીસ તરફથી કાયદા મુજબ કાર્યવાહી થતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જ્યારે કોંગ્રેસ પક્ષે ચેતવણી આપી છે કે જો આવી સ્થિતિ યથાવત રહેશે તો તેની જવાબદારી સંબંધિત અધિકારીઓ પર રહેશે.
