મુલુંડ મુકામે તા. ૧૧/૧/૨૬ ના રોજ પ.પૂ. રત્નસુંદરસૂરીજી મહારાજ હસ્તે લખાયેલ 500મા પુસ્તક “પ્રેમ નું વિશ્વ – વિશ્વ નો પ્રેમ” ના વિમોચન પ્રસંગે એલર્ટ બ્રામ્હીસુંદરી સહેલી સર્કલ ગ્રુપ ભરુચને બેસ્ટ ગ્રુપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં સંસ્થાના કુલ 45 ગ્રુપ કાર્યરત છે, જેમાં ભરુચે શ્રેષ્ઠ સ્થાન મેળવી ગૌરવ વધાર્યું છે.
આ એવોર્ડની ખુશીમાં ભરુચ ખાતે સભ્યો માટે ખાસ સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું થીમ “ભાવે ભર્યું ભરુચ, ભવ્ય ભરુચ નો ભાવ” રાખવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સુશ્રાવિકા, શ્રી સંઘહિતચિંતક, જિનશાસનની અનુપમાદેવી સમ ધાત્રિકાબેન કલ્પેશભાઈ શાહ, તેમજ આદરણીય સુશ્રાવિકા પાયલબેન શાહ અને વિરલબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા.
વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે કાર્યક્રમમાં મળેલ ટ્રોફી ગ્રુપના લીડર અથવા કમીટી મેમ્બરે ન લેતા, ગ્રુપના સભ્યોને સ્વીકારવા આપવામાં આવી, જેનાથી સાચા નેતૃત્વ અને સમર્પણનું ઉત્તમ ઉદાહરણ રજૂ થયું.
આ પ્રસંગે વર્ષ ૨૦૨૫ દરમિયાન ગ્રુપ દ્વારા કરવામાં આવેલા તમામ સેવા અને સુકૃત કાર્યો માટે પ્રેરણા આપનાર તથા સેવા આપનાર દરેક વ્યક્તિનું બહુમાન કરવામાં આવ્યું હતું. સામાયિક જેવી આરાધના દ્વારા ઉત્કૃષ્ટ ભાવથી સેવાર્થ રકમ એકત્ર કરવાની પ્રેરણા પણ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી.
કાર્યક્રમમાં જૈન મહાસંઘના પ્રમુખ શાંતિલાલ શ્રોફ, ઝાડેશ્વર સંઘ પ્રમુખ નરેશભાઈ શાહ, શક્તિનાથ જૈન સંઘ પ્રમુખ વિકેશભાઈ શાહ, જીવદયા પ્રેમી મયૂરભાઈ શેઠ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શાબ્દિક સ્વાગત ગ્રુપના પ્રમુખ રૂપલબેન ધર્મેશભાઈ શાહે કર્યું હતું, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કમીટી મેમ્બર સોનલબેન, દિપ્તીબેન, પૂજાબેન, વિભાબેન વગેરેએ કર્યું હતું.
