દહેજ રેલવે લાઈનની આસપાસના ઝૂપડાં પણ દૂર કરાયાં
। ભરૂચ ।
ભરૂચમાં વહિવટી તંત્ર દ્વારા મંગળવારે સવારે દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરી હતી, જેના પગલે વહેલી સવારથી અલગ અલગ ટીમો દ્વારા ટ્રાફિકને અડચણરુપ ૪૦થી વધુ દબાણો દૂર કર્યા હતાં.
ભરૂચ જિલ્લામાં વહિવટી તંત્રએ દબાણો દૂર કરવા માટેની ઝુંબેશ પુનઃ શરુ કરી છે. ડિસેમ્બર મહિલનામાં જંબુસર બાયપાસથી કંથારિયા સુધીના માર્ગ પર મેગા ડિમોલેશન હાથ ધરાયું હતું. જે બાદ લારી-ગલ્લા તેમજ કેબીનોવાળાઅઓએ પુન: ત્યાં અડિંગો જમાવી લીધો હતો. જેના કારણે ટ્રાફિકને અડચણ ઉભું થતું હોવાને કારણે વહિવટી તંત્રએ આજે મંગળવારે પુન: એક્શનમાં આવી દબાણો દૂર કરવાની કામગીરી શરુ કરી હતી. જેસીબી, ટ્રેક્ટર-ટ્રેલર તેમજ ટેમ્પો સહિતના વાહનો સાથે રાખી દબાણ હટાવવા માટે ૨૫થી ૩૦ શ્રમિકો સહિત અન્ય લોકોએ કામે લાગી રોડની નજીક ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવાની કવાયત શરુ કરી હતી. દબાણ દૂર કરવાની કામગીરી ચાલી રહી હોવાની વાત પ્રસરતાં કેટલાંય લોકોએ તેમના લારી-ગલ્લા સ્વૈચ્છીક રીતે ત્યાંથી હટાવી લીધાં હતાં. ટીમે સ્થળ પરથી ૪૦થી વધુ દબાણો દૂર કર્યા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળી રહ્યું છે.બીજી તરફ કંથારિયા પાસે કેટલાંક પાકા દબાણકર્તાઓએ તેમનો સામાન સહીસલામત રીતે કાઢી લેવા થોડા
સમયની માગણી કરતાં તેમને બે-ત્રણ દિવસનો સમય આપવામાં આવ્યો હતો. જંબુસર બાયપાસની સાથે સાથે શહેરમાં દહેજ રેલવે લાઈનની આસપાસના ઝૂંપડાંના દબાણોને પણ ટીમે દૂર કર્યા હતાં.
