ભરૂચના ૭.૩૦ કરોડના મનરેગા કૌભાંડમાં હાઈકોર્ટે આરોપીઓના જામીન રદ કર્યા
1 ભરૂચ !
ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં ચકચાર જગાવનારા મનરેગા કૌભાંડમાં ઝડપાયેલાં કોંગ્રેસી નેતા હિરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય સહિત ૯ જણાના જામીન હાઈકોર્ટ રદ કર્યા છે. ઉપરાંત તેમને આગામી ૧૬મી ફેબ્રુઆરી સુધીમાં પોલીસ સમક્ષ સરેન્ડર થવા માટે હુકમ કર્યો છે.
ભરૂચ જિલ્લાના આમોદ હાંસોટ તેમજ જંબુસર તાલુકામાં મનરેગા હેઠળ કરાયેલાં કામોમાં ભ્રષ્ટાચાર કરવાના મામલે કોંગ્રેસી નેતા હિરા જોટવા તેમજ તેમના પુત્ર દિગ્વિજય સહિત ૯ જણાની ધરપકડ કરવામાં આવી હતી. તેમની સામે ફરિયાદ થયાં બાદ તેમણે જામીન અરજી કરી હતી. જોકે, ટ્રાયલ કોર્ટે તે ફગાવી દીધી હતી. દરમિયાનમાં કોર્ટમાં ચાર્જશીટ જમાં થઈ જતાં તેમણે પુનઃ શરતી જામીન અરજી મુકી હતી. જે મંજુર થઈ જતાં સરકારી વકીલ પરેશ પંડયાએ તેને કોર્ટમાં પડકારી હતી. રોજ કમાઈને રોજ ખાનારા લોકોના નામે બોગસ એન્ટ્રીઓ કરી કરોડો રૂપિયાની ઉચાપત કરી સરકાર સાથે છેતરપિંડી કરવા ગંભીર ગુનામાં પોલીસ અને સરકાર તરફે સરકારી વકલ પરેશ પંડયાએ ભરૂચ સેશન્સ કોર્ટમાં શરતી જામીન નામંજૂર કરવા અરજી કરી હતી. દરમિયાન કોર્ટે હિરા જોટવા અને તેના પુત્રના શરતી જામીન રદ કરી તેમને કસ્ટડીમાં લેવા માટે ડિસેમ્બર મહિનામાં હુકમ કર્યોહતો. જોકે, હિરા જોટવા અને તેના પુત્ર દ્વારા શરતી જામીન રદ કરી કસ્ટડીમાં લેવા સામેના હુકમ પર હાઈકોર્ટમાંથી સ્ટે મેળવ્યો હતો. અરસામાં હાઈકોટમાં આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં બન્ને પક્ષની દલીલો અને હાઈકોટ સહિત સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ રજૂ કરવામાં આવ્યાં હતાં. જેને ધ્યાનમાં રાખી હાઈકોર્ટે હીરા જોટવા સહિત ૯ આરોપીઓના જામીન રદ કરવાનો હુકમ કાયમ રાખ્યો હતો. ઉપરાંત, આરોપીઓના વકીલની રજૂઆતને ધ્યાનમાં રાખી તેમને સરેન્ડર કરવા માટે ૧૬મી ફેબુઆરી સુધીની મહેતલ આપી હતી. જોકે, હિરા જોટવા અને તેના પુત્ર સહિતના આરોપીઓ હવે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવે તેવી શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે.
