ભરૂચ
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદવીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપ્યુ છે, તેવા શહીદોની સ્મૃતિમાં તા. ૩૦ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સવારના ૧૧-૦૦ કલાકે બે મિનિટ મૌન પાળવું અને આખા દેશમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિ એટલો સમય પુરતી બંધ રાખવી એવો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે
તા.૩૦ જાન્યુઆરી-૨૦૨૬ ના રોજ સૌ કોઈ આ સમયે એક સાથે ગંભીરતા પુર્વક મૌન પાળી શકે તે માટે ભરૂચ શહેરમાં નીચે પ્રમાણે સાયરનની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જે જગ્યાએ સાયરનની વ્યવસ્થા ન હોય તે સ્થળોએ પણ નિયત સમયે મૌન પાળવાનું રહેશે.
સવારે ૧૦-૫૯ કલાકે એક મીનીટ માટે એટલે કે ૧૧-૦૦ કલાક સુધી એક મીનીટ માટે સાયરન વગાડાશે. સાયરન બંધ થાય કે તુર્ત જ જયાં કામ થતું હોય તેવા બધાજ સ્થળોએ કામ કરનાર સૌ પોત પોતાની જગ્યાએ શાંત ઉભા રહી, શકય હોય તો ભેગા મળી, મૌન પાળે જયાં શકય હોય ત્યાં વર્કશોપ અને કારખાનાનું કામકાજ બંધ કરવામાં આવે, રસ્તાઓ પરનો વાહન વ્યવહાર થંભી જાય તે જોવા વિનંતી કરવામાં આવે છે. ૧૧-૦૦ વાગ્યે ઉપડવાની ટ્રેનો તેમના મથકે બે મીનીટ માટે અટકાવવામાં આવશે. મૌનનો સમય પુરો થયો છે, એ બાબતના બરાબર ૧૧-૦૨ મિનિટે સાયરન ફરીથી વાગશે. ત્યાર બાદ રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરવા સૌ નાગરીકો, સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, બોર્ડ, કોર્પોરેશન, તથા ઉદ્યોગોના સંચાલકોને અપીલ કરવામાં આવે છે.
શહીદો પ્રત્યેનો આ અવસર ગંભીરતાથી લેવાય અને શહિદો પ્રત્યે શ્રધ્ધા સન્માનની ભાવના પણ જાગૃત થાય તેથી શહીદ દિને શહીદો પ્રત્યે દરેક વર્ગના લોકોને સક્રિય સાથ સહકાર આપવા અને શહીદ દિનને ગૌરવ પૂર્ણ બનાવવા વિનંતી છે. તેમ નિવાસી અધિક કલેક્ટર ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.
