ભરૂચ
નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં ‘સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)’ કાર્યક્રમના સુચારું આયોજન, અસરકારક અમલીકરણ અંગે જિલ્લા કક્ષા સમિતિની બેઠક કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાઈ હતી.
બેઠક દરમિયાન રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓનો લાભ વધુમાં વધુ પ્રજાજનો સુધી પહોંચે તે હેતુસર તાલુકા કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
નિવાસી અધિક કલેક્ટરએ છેવાડાના નાગરિકોને યોજનાકીય લાભ સમયસર મળી રહે તે માટે બેઝિક ડોક્યુમેન્ટેશનની કામગીરી નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધીત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. બેઠકમાં ‘સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)’ કાર્યક્રમના બે તબક્કાઓ અંગે વિગતવાર માહિતી આપી હતી. જેમાં પ્રથમ તબક્કો તા. ૨૮/૦૧/૨૦૨૬થી ૨૮/૦૨/૨૦૨૬ પૂર્વ તૈયારી ઝુંબેશ, જ્યારે બીજો તબક્કો તા. ૦૭/૦૩/૨૦૨૬ થી શરૂ થશે. બંને તબક્કાઓ દરમિયાનની કામગીરી સો ટકા પૂર્ણ કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં પ્રાંત અધિકારી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
