-માંગરોળના ઝંખવાવ-વાડી માર્ગ પર બનેલી ઘટના
-ઉમરપાડાથી કોસંબા ગયેલી જાન પરત ફરતી હતી
વાંકલ: માંગરોળના ઝંખવાવ-વાડી નેશનલ હાઈવે ૫૬ પર ગત રાત્રિના સાડા નવ વાગ્યાના અરસામાં રેટા ફળિયા વળાંક પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ઉંમરપાડાના પિનપુર ગામથી જાનૈયાઓને લઈને કોસંબા ગયેલી લક્ઝરી બસ જ્યારે પરત ફરી રહી હતી, ત્યારે સામેથી આવતા હાઇવા ટ્રક સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો પ્રચંડ હતો કે લક્ઝરી બસમાં સવાર મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી અને જોતજોતામાં સ્થાનિક લોકોના ટોળેટોળાં ઘટના સ્થળે ઊમટી પડ્યા હતા.
આ દુર્ઘટનામાં બસમાં સવાર અંદાજે ૨૨ જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તો પૈકી ઘણાને માથાના ભાગે ગંભીર વાગતા ટાંકા આવ્યા હતા, જ્યારે કેટલાક મુસાફરોને મોઢાના અને હાથ-પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ઝંખવાવ સી.એચ.સી. ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં લક્ઝરી બસ અને હાઇવા બંનેના ડ્રાઇવરોને પણ ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી તેમને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વધુ સારવાર માટે સુરત અને બારડોલીની હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માતને કારણે નેશનલ હાઈવે પર અંદાજે બે કલાક સુધી ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેના કારણે વાહનચાલકો ભારે હાલાકીમાં મુકાયા હતા. ઘટનાની જાણ થતા જ ઝંખવાવ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ક્રેઈનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને માર્ગ પરથી દૂર કરી ટ્રાફિક હળવો કરાવ્યો હતો. હાલ પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
