ભરૂચ શહેરની આગવી ઓળખ ગણાતા પાંચબત્તી સર્કલનું P P Savani Universityના સહયોગથી ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આશરે 32 લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા આ સર્કલનું લોકાર્પણ રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
શહેરના હૃદયસ્થાને આવેલ આ સર્કલને પાંચ ફાનસની અનોખી ડિઝાઇન સાથે નવી સજાવટ આપવામાં આવી છે. સાથે જ પ્રેરણાદાયક સુવિચારો અને ભરૂચ શહેરના ઇતિહાસ તથા મહત્વ દર્શાવતી માહિતીપટ્ટીઓ મૂકવામાં આવી છે, જેથી નાગરિકો અને પ્રવાસીઓ શહેરની ગૌરવસભર પરંપરા સાથે પરિચિત થઈ શકે.
ઇતિહાસની દ્રષ્ટિએ ભરૂચ વેપાર ક્ષેત્રે અંગ્રેજોના સમયમાં આગવી ઓળખ ધરાવતું શહેર રહ્યું છે. તે સમયગાળા દરમિયાન શહેરના આ વિસ્તરમાં પ્રકાશ વ્યવસ્થા ન હોવાને કારણે પાંચ ફાનસ લગાવવામાં આવ્યા હતા. ત્યારથી આ સ્થળ “પંચબત્તી” તરીકે ઓળખાવા લાગ્યું અને સમય જતાં તેનું નામ “પાંચબત્તી” તરીકે પ્રસિદ્ધ બન્યું.
હવે Bharuch Nagarpalika અને ટીપી સવાણી ટ્રસ્ટના સહયોગથી સર્કલને આધુનિક અને આકર્ષક સ્વરૂપ આપવામાં આવ્યું છે. સર્કલમાં ચંદ્રયાન તથા વિદ્યાર્થીઓ માટે પ્રતીકરૂપ પેન્સિલ જેવી કલાત્મક સ્થાપત્યો પણ ઊભા કરવામાં આવ્યા છે, જે શહેરના વિકાસ અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ આપે છે.
લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી, ભાજપ મહામંત્રી નિરલ પટેલ, પી.પી. સાવાણી યુનિવર્સિટીના વલ્લભ સવાણી અને પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સર્કલના લોકાર્પણ સાથે ભવિષ્યની વિકાસ યોજનાઓ પણ જાહેર કરવામાં આવી છે. શહેરના અન્ય સર્કલો પર દેશના મહાપુરુષોની પ્રતિમાઓ સ્થાપિત કરીને નવીનીકરણ કરવામાં આવશે તથા સ્ટેશનથી પાંચબત્તી સુધીના માર્ગને “આઇકોનિક રોડ” તરીકે વિકસાવવાની યોજના હાથ ધરાશે, જે ભરૂચને વધુ આધુનિક અને આકર્ષક ઓળખ આપશે.
