ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં પવિત્ર નર્મદા નદીના કિનારે આવેલ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભોળેનાથના દર્શન માટે શિવભક્તોની લાંબી લાઈનો મંદિર પરિસર સુધી ફેલાઈ ગઈ હતી.
મહાશિવરાત્રીના અવસરે ભક્તોએ દૂધ, જળ અને બીલીપત્ર અર્પણ કરી ભગવાન નીલકંઠેશ્વર મહાદેવનો અભિષેક કર્યો હતો. “હર હર મહાદેવ”ના જયઘોષ સાથે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું.
મંદિર પરિસરની બહાર મેળાનો પણ ખાસ માહોલ રહ્યો હતો, જ્યાં ભક્તોએ મેળાનો આનંદ માણ્યો હતો. મંદિર પરિષદ દ્વારા દર્શનાર્થીઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તોએ લાભ લીધો હતો.
પવિત્ર નર્મદા તટ પર આવેલ આ ઐતિહાસિક મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વ ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ઉજવાયો હતો.
