અંકલેશ્વર: અંકલેશ્વર–રાજપીપળા માર્ગ પર આજે જીતાલી ફાટક નજીક એક સાથે ત્રણ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. મોટર સાઇકલ, મહિન્દ્રા થાર અને ઓટો રિક્ષા વચ્ચે થયેલા આ ટ્રિપલ અકસ્માતમાં રિક્ષા અને બાઈક સવાર ઈસમોને ઇજાઓ પહોંચી હતી.
મળતી માહિતી મુજબ, જીતાલી ફાટક નજીક અચાનક ત્રણેય વાહનો ભટકાતા જોરદાર ટક્કર લાગી હતી. અકસ્માતની સાથે જ સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને રસ્તાની સાઈડ પર ખસેડી 108 ઇમરજન્સી સેવાને જાણ કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ સેવા સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ તેમની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
અકસ્માને કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વાહન વ્યવહાર ધીમો પડતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી તેમજ અકસ્માતના કારણોની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક અનુમાન મુજબ ઓવરટેક અથવા બેદરકારીથી વાહન હાંકવાના કારણે અકસ્માત સર્જાયો હોઈ શકે છે, જોકે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
