ભરૂચ જિલ્લાના સાયખા અને વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કેટલીક કેમિકલ કંપનીઓ દ્વારા રાત્રિના અંધારામાં ગામની પાછળથી વહેતી ભૂખી ખાડીમાં ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ખાડીમાં રસાયણમિશ્રિત પાણી પહોંચતા અસંખ્ય માછલીઓના મોત નિપજ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. સાથે જ ખાડીના પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કરતા ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
સાવખા ગામની બાજુમાં આવેલા કોઠીયા ગામ નજીકની ખાડીમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રદૂષણના કારણે પાણીમાંથી દુર્ગંધ ફેલાઈ રહી છે અને આસપાસના વાતાવરણ પર પણ અસર જોવા મળી રહી છે. ખેડૂતોના કહેવા મુજબ, ખાડીનું પાણી ખેતી માટે ઉપયોગી ન રહેતા પાકને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે.
પરિસ્થિતિની ગંભીરતા જોતા આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલ સ્થળ પર દોડી આવ્યા હતા. તેમણે ગ્રામજનો સાથે ખાડી વિસ્તારની મુલાકાત લઈ પ્રદૂષણના દ્રશ્યો નિહાળ્યા હતા. દીપક પટેલે આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજુઆત કરવા છતાં જીપીસીબી દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે લેભાગુ કંપનીઓને મોકળું મેદાન મળ્યું છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે સાયખા કેમિકલ ઝોનમાં અગાઉ પણ લાઈન લીકેજ અને કેમિકલ છોડવાની ઘટનાઓ સામે આવી છે, પરંતુ દોષિત કંપનીઓ સામે કડક કાર્યવાહી ન થતા પ્રદૂષણની સમસ્યા યથાવત છે. ગ્રામજનોએ સવાલ ઉઠાવ્યો છે કે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
