અંકલેશ્વર
અંકલેશ્વર નગરપાલિકાએ બાકી પડતા વેરાની વસુલાત માટે કડક પગલાં ભરતાં હાઉસ ટેક્સ વિભાગે 34 મિલકતો સીલ કરી દીધી છે, જ્યારે 40 પાણી અને ડ્રેનેજ જોડાણ કાપી નાખ્યા છે. સાથે સાથે 10 હજારથી વધુ મિલકતધારકોને આખરી નોટિસ પાઠવી પાલિકાએ વસુલાત અભિયાન તેજ કર્યું છે.
પાલિકા ઇતિહાસમાં પ્રથમ વખત વ્યવસાય વેરા વિભાગે પણ બાકી રહેલા વેરા માટે કડક કાર્યવાહી હાથ ધરી 4 મિલકતો સીલ કરી છે. મિલકતો સીલ થતાં જ બાકીદારો દ્વારા તાત્કાલિક વેરો ભરપાઈ કરવાની કામગીરી શરૂ કરાઈ હોવાનું જાણવા મળે છે.
વ્યવસાય વેરા વિભાગમાં કુલ રૂ. 1.72 કરોડની માંગ સામે અત્યાર સુધી રૂ. 1.30 કરોડથી વધુ વસુલાત થઈ ચૂકી છે, જ્યારે રૂ. 41.60 લાખની બાકી વસુલાત માટે 750થી વધુ વ્યવસાય વેરાધારકોને નોટિસ પાઠવવામાં આવી છે. નોટિસ બાદ પણ વેરો નહીં ભરનાર સામે મિલકત સીલ કરવાની કાર્યવાહી કરવાની તાકીદ કરાઈ છે.
હાઉસ ટેક્સ વિભાગ દ્વારા કુલ રૂ. 13.07 કરોડની માંગ સામે અત્યાર સુધી રૂ. 7.64 કરોડ વસુલાત કરી 58.47 ટકા વસુલાત નોંધાઈ છે. બાકી રહેલા અંદાજે 41 ટકા વેરા માટે 31 માર્ચ સુધી 12 વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર-ટુ-ડોર અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
હાલ સુધી 34 મિલકતો સીલ કરાઈ છે તથા 40 પાણી-ડ્રેનેજ જોડાણ કપાયા છે. આગામી દિવસોમાં વધુ કડક કાર્યવાહી માટે ખાસ ટીમો ગોઠવી તમામ વોર્ડમાં જાહેર જાહેરાતો સાથે વસુલાત અભિયાન તેજ બનાવાશે.
પાલિકા ચીફ ઓફિસર કેશવ કોલડિયાએ જણાવ્યું હતું કે બાકીદારો તાત્કાલિક વેરો ભરપાઈ કરે. નોટિસ બાદ પણ વેરો નહીં ભરનારની મિલકત સીલ કરવામાં આવશે તેમજ 31 માર્ચ બાદ વ્યાજ સહિત વસુલાત કરવામાં આવશે.
