ભરૂચ.
ભરૂચ શહેરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને વધુ ગતિ આપતા કોલેજ રોડને જ્યોતિનગર સાથે જોડતા નવા માર્ગનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું છે. આશરે રૂ. 1.54 કરોડના ખર્ચે તૈયાર થયેલા આ માર્ગનું લોકાર્પણ વિધાનસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે વિધિવત રીતે કરવામાં આવ્યું હતું.
માર્ગના નિર્માણ દરમિયાન ગુણવત્તા અને ટકાઉપણાને વિશેષ પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું તંત્રએ જણાવ્યું હતું. મજબૂત રોડ સ્ટ્રક્ચર સાથે સુવ્યવસ્થિત ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેથી ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઉભી ન થાય. હોળી-ધુળેટી પર્વ બાદ માર્ગ પર ડિવાઈડર, રોડ માર્કિંગ અને ડેકોરેશન સહિતના બાકી રહેલા કામો પૂર્ણ કરાશે. નવા માર્ગના પ્રારંભથી આસપાસના વિસ્તારોના રહેવાસીઓને સરળ અને ઝડપી આવાગમનની સુવિધા મળશે તેમજ ટ્રાફિકના દબાણમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
