આમોદ તાલુકાના ભીમપુરા વિસ્તારમાં આવેલી સરદાર સરોવર નિગમ લિમીટેડની કેનાલમાં મોટું ગાબડું પડતાં ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. આશ્ચર્યની વાત એ છે કે એક વર્ષ અગાઉ જ આ નહેરનું રીપેરિંગ કરવામાં આવ્યું હોવા છતાં ફરીથી ભંગાણ સર્જાતા કામગીરીની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે.સ્થળ પરની પરિસ્થિતિ મુજબ કેનાલમાંથી હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. એક તરફ સરકાર પાણી સંરક્ષણના દાવા કરે છે, ત્યારે બીજી તરફ અહીં મહામૂલું પાણી બિનજરૂરી રીતે જમીનમાં વેડફાઈ રહ્યું છે. કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નહેરમાંથી સતત પાણી લીક થઈ રહ્યું છે.
નર્મદા નહેર નિગમ દ્વારા જાળવણી અને સફાઈ અંગે કરવામાં આવતા દાવાઓ પણ અહીં ખોટા સાબિત થતા જણાઈ રહ્યા છે. અનેક જગ્યાએ નહેરોમાં બાવળ અને ઝાડઝાંખર ઊગી નીકળ્યા છે, જે યોગ્ય દેખરેખના અભાવની સાબિતી આપે છે. આ બેદરકારીનો સીધો ભોગ ખેડૂતો બની રહ્યા છે. અનેક ગામોના ખેડૂતો સિંચાઈના પાણી વિના હેરાન પરેશાન છે, જ્યારે બીજી તરફ પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે. ખેડૂતોની મહેનત, પાક અને જીવનજિવિકા સાથે સંકળાયેલો આ પ્રશ્ન અત્યંત સંવેદનશીલ બન્યો છે. આ મુદ્દે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલે ચેતવણી આપી છે કે જો વહેલી તકે સમગ્ર પંથકની કેનાલોના ગાબડાંની યોગ્ય મરામત કામગીરી હાથ ધરવામાં નહીં આવે, તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી નિગમની કચેરીએ તાળાબંધી કરશે અને ઉગ્ર આંદોલન શરૂ કરશે. હવે જોવાનું રહ્યું કે જવાબદાર અધિકારીઓ તાત્કાલિક પગલાં ભરી પરિસ્થિતિ કાબૂમાં લે છે કે પછી આ મુદ્દો વધુ ઉગ્ર બની રાજકીય રંગ ધારણ કરે છે.
