વાંકલ
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આગોતરી ઉજવણી અંતર્ગત અદાણી ફાઉન્ડેશન, હજીરા દ્વારા ભટલાઈ અને આદિવાસી બહુલ ઉમરપાડા વિસ્તારમાં “આપો તો મેળવો” થીમ આધારિત ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા જેમાં ૮૫૦થી વધુ મહિલોએ ભાગ લીધો હતો. ભટલાઈ ખાતેના મુખ્ય સમારોહમાં ચોર્યાસી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃપ્તિબેન પટેલ, અદાણી હજીરા પોર્ટના સીઓઓ પંકજ ઉકે, સુરત જિલ્લા પંચાયત કૃષિ અને સિંચાઈ સમિતિના અધ્યક્ષ નિલેશભાઈ તડવી સહિત સરપંચો તથા સ્થાનિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા. દીપ પ્રાગટ્ય અને સ્વાગત નૃત્યથી કાર્યક્રમની શરૂઆત થઈ, ત્યારબાદ પરંપરાગત ગરબાએ સૌનું મન મોહી લીધું હતું.
ચોર્યાસીના ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈએ પોતાના સંદેશમાં મહિલાઓને અભિનંદન પાઠવતા અદાણી ફાઉન્ડેશન દ્વારા મહિલા વિકાસ માટે કરાતા પ્રયત્નોની પ્રશંસા કરી હતી. અદાણી હજીરા પોર્ટના સીઓઓ પંકજ ઉકે જણાવ્યું કે, “મહિલાઓને યોગ્ય સન્માન, તક અને સહકાર મળે તો તેઓ પરિવારથી લઈને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ સુધી મહત્ત્વનું યોગદાન આપી શકે છે.”
અદાણી ફાઉન્ડેશન દ્વારા SHG જૂથોને આવકવર્ધક સાધન-સામગ્રી સહાય, ખેતી માટે માંડવા સહાય અને વિવિધ કૌશલ્ય આધારિત પહેલો દ્વારા આર્થિક સશક્તિકરણની દિશામાં પગલા લેવામાં આવી રહ્યા છે. આ પ્રયત્નોથી અનેક મહિલાઓ આત્મનિર્ભર બનવા તરફ આગળ વધી રહી છે.
કાર્યક્રમ દરમિયાન નવચેતન વિદ્યાલયની રાજ્ય કક્ષાની એથલેટિક્સ મીટમાં વિજેતા થયેલ વિદ્યાર્થીનીઓને સ્પોર્ટ્સ કીટ આપવામાં આવી હતી. રાજગરી ગામની પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરનાર કૈલાશબેને દિલ્હી ખાતે યોજાયેલી Women Led Development કોન્ફરન્સનો પોતાનો અનુભવો શેર કર્યો હતો. ઉત્થાન પ્રોજેક્ટમાં પાંચ વર્ષથી કાર્યરત સહાયકોને તેમના યોગદાનને બિરદાવતા પ્રમાણપત્ર અને સ્મૃતિચિહ્ન આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. SHG બહેનોને પણ તેમની આવકવર્ધક કામગીરી માટે વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું. ઉમરપાડામાં યોજાયેલા સમાંતર કાર્યક્રમમાં પણ આશરે 650 મહિલાઓએ ઊર્જાભર્યો પ્રતિસાદ આપ્યો. કાર્યક્રમના અંતે અદાણી ફાઉન્ડેશનની CSR હેડ શ્રીમતી શીતલબેને આભાર વ્યક્ત કર્યો.
