ભરૂચ : ભરૂચ-દહેજ-અંકલેશ્વર વિસ્તારને વૈશ્વિક વેપાર હબ તરીકે વિકસાવવા માટે અહેમદાબાદ મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા ‘એક્ઝિમ કોન્કલેવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ભરૂચ ડિસ્ટ્રીક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ના સહયોગથી ભરૂચ ખાતે એબીસી ચોકડી નજીક સ્થિત રંગ લોર્ડ્સ ઇન હોટેલમાં યોજાયો હતો.
આ કોન્કલેવ ક્વાલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (QCI)ના આઉટરીચ પાર્ટનરશિપ સાથે યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ ભરૂચ-દહેજ-અંકલેશ્વર ઔદ્યોગિક બેલ્ટના ઉદ્યોગોને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે વ્યાપક પ્લેટફોર્મ પૂરૂં પાડવાનો હતો.
કાર્યક્રમની શરૂઆતમાં ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ દેવાંગ ઠાકોર, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઉન્મેષ દીક્ષિત તથા જીએફએલના વાઈસ પ્રેસિડેન્ટ (HR) ડો. સુનિલ ભટ્ટે સ્વાગત પ્રવચન આપ્યું હતું.
દહેજ એસઈઝેડના ડેવલપમેન્ટ કમિશનર અનુપમ કુમારે “ભરૂચ-દહેજને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવતા નિકાસ-આયાત કોરિડોર તરીકે વિકસાવવા” વિષય પર માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ ટ્રાયલાયન્સ ગ્લોબલ સોલ્યુશન્સની વાઈસ પ્રેસિડેન્ટ મનીષા ઠાકર અને લોજીબીટ્સ ફ્રેઈટ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડની મેનેજર પૂજા સંત દ્વારા “દહેજ અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાંથી એક્ઝિમ માટે પોર્ટ, શિપિંગ અને મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સને શ્રેષ્ઠ બનાવવું” વિષય પર પેનલ ડિસ્કશન યોજાયું હતું.
ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના એનએબીએલના જોઈન્ટ ડાયરેક્ટર ડો. ભૂમિ રાજ્યગુરુએ “એનએબીએલ માન્યતા અને નિકાસકારો માટે તેના વ્યૂહાત્મક ફાયદા” વિષય પર વિશેષ સત્રને સંબોધ્યું હતું. ઉપરાંત ઇન્ડિયા એક્ઝિમ ફિનસર્વ આઈએફએસસી પ્રા. લિ.ના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ વૈશલ શાહે “ટ્રેડ ફાઇનાન્સ, રિસ્ક મેનેજમેન્ટ અને નિકાસ પ્રોત્સાહનો” વિષય પર માહિતી આપી હતી.
કાર્યક્રમ દરમિયાન “ભરૂચ-દહેજ-અંકલેશ્વર-ઝઘડિયા ઔદ્યોગિક બેલ્ટ માટે ફ્યુચર-રેડી એક્ઝિમ ટેલેન્ટનું નિર્માણ” વિષય પર પેનલ ચર્ચા પણ યોજાઈ હતી, જેમાં પી.પી. સવાણી યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડો. પરાગ સંઘાણી, નર્મદા કોલેજ ઓફ મેનેજમેન્ટના ઇન-ચાર્જ ડાયરેક્ટર ડો. ચેતના મકવાણા તથા નવરચના યુનિવર્સિટીના ડીન ડો. હિતેશ ભાટિયાએ માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમના અંતે એએમએ એક્ઝિમ ફેકલ્ટી અને એડ વેલ્યુ કન્સલ્ટન્ટ્સના સીઈઓ ચેતન ભોજાણીએ કોન્કલેવનું સંકલન કરી આભારવિધિ વ્યક્ત કરી હતી.
