સબહેડિંગ:
ઉકાઈ જળાશય આધારિત લિફ્ટ ઈરીગેશન યોજનાથી ૭૩ ગામોની ૫૩,૭૫૦ એકર જમીનને મળશે પાણી, ઉમરપાડાના ૨૯ ગામો માટે ₹૨૦૮ કરોડના એક્સટેન્શનનું ભૂમિપુજન
વાંકલ:
દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારો માટે મહત્વપૂર્ણ માનાતી ઉકાઈ જળાશય આધારિત તાપી–કરજણ લિંક પાઈપલાઈન ઉદ્દવહન સિંચાઈ યોજનાનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કેવડી ગામે કરવામાં આવ્યું હતું. આ યોજનાથી સુરત જિલ્લાના ઉમરપાડા અને નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુલ ૭૩ આદિવાસી ગામોની અંદાજે ૫૩,૭૫૦ એકર જમીનને સિંચાઈ સુવિધાનો સીધો લાભ મળશે.
રૂ.૬૫૧.૦૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ ઉદવહન સિંચાઈ યોજના દ્વારા ઉકાઈ જળાશયમાંથી પાણી લિફ્ટ કરીને પહાડી અને જંગલ વિસ્તારોમાં આવેલા ખેતરો સુધી પહોંચાડવામાં આવશે. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ઉમરપાડા તાલુકાના ૨૯ ગામોની ૧૯,૧૪૧ એકર જમીનને સિંચાઈ સુવિધા આપવા માટે રૂ.૨૦૮.૫૧ કરોડના ખર્ચે થનારી યોજનાના એક્સટેન્શનનું ઈ-ભૂમિપુજન પણ કર્યું હતું.
કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારત @ ૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માટે આદિવાસી વિસ્તારોને વિકાસની મુખ્યધારામાં જોડવાનું રાજ્ય સરકારનું ધ્યેય છે. અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં શિક્ષણ, આરોગ્ય, રોડ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા ક્ષેત્રોમાં આગામી વર્ષોમાં મોટા પ્રમાણમાં વિકાસકામોને વેગ મળશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે વડાપ્રધાન દ્વારા આદિજાતિ વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે રૂ.૨ લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી છે, જેના માધ્યમથી શિક્ષણ, આરોગ્ય અને આધુનિક સુવિધાઓ આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન રાજ્યના આદિજાતિ વિકાસમંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ‘નળ સે જલ’થી લઈને ‘ખેતર સુધી જળ’ પહોંચાડવા માટે પ્રતિબદ્ધ છે. લિફ્ટ ઈરીગેશન જેવી યોજનાઓ દ્વારા દુર્ગમ વિસ્તારોમાં પણ ખેડૂતોને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
પાણી પુરવઠા અને જળસંપત્તિ રાજ્યમંત્રી .એ જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં ૧૪,૭૫૬ નાના ચેકડેમોના નિર્માણથી ૧.૫૨ લાખ એકર જમીનને સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક તળાવો ઊંડા કરીને પાણી સંગ્રહ ક્ષમતા વધારવામાં આવી છે.
આ પ્રસંગે માંગરોળના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ મુખ્યમંત્રીનું તીર-કામઠું અને સ્મૃતિચિહ્ન આપી સ્વાગત કર્યું હતું. તેમણે જણાવ્યું કે તાપી–કરજણ લિંક પાઈપલાઈન સિંચાઈ યોજના સાકાર થવાથી ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારો માટે “સોનાનો સૂરજ” ઊગ્યો છે અને ખેડૂતોની ખેતીમાં કાયાકલ્પ આવશે.
કાર્યક્રમ દરમિયાન સુરત જિલ્લામાં કુલ રૂ.૧૨૬ કરોડના વિવિધ વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત વન અધિકાર સનદ, પીએમ આવાસ, ગોડાઉન સહાય અને ટ્રેક્ટર સહાય સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં સાંસદો, ધારાસભ્યો, જિલ્લા અધિકારીઓ, આદિજાતિ ખેડૂતો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
