વાગરા તાલુકાના દહેજ વિસ્તારમાં પાણીની પાઈપ બાબતે થયેલા વિવાદે મારામારીનું રૂપ ધારણ કરતા પતિ-પત્ની ઇજાગ્રસ્ત બન્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. બનાવ અંગે પીડિતે પોલીસમાં લેખિત ફરિયાદ આપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ દહેજ વાડી ફળિયામાં શક્તિનગર સોસાયટી વિસ્તારમાં રહેતા અને જીએસીએલ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા જયંતિભાઈ દહ્યાભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. ગત 9 માર્ચની રાત્રે તેઓ ઘરે હતા ત્યારે તેમની પત્ની લક્ષ્મીબેન ઘરની નીચે કપડા ધોઈ રહ્યા હતા.
આ દરમિયાન સોસાયટીમાં રહેતા સતીશભાઈ બકોરભાઈ પટેલ ત્યાં આવી zરોડ પરની પાણીની પાઇપ હટાવવા કહેતાં લક્ષ્મીએ તેમને પાણીની પાઈપ પરથી જતાં રહેવા કહેતાં સતિષે તે અંગે બોલાચાલી કરી તારા બાપનો રસ્તો છે ? તે કહી ગાળાગાળી શરૂ કરી હતી. વાત વધતા તેમણે લક્ષ્મીબેનને થપ્પડ મારી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારબાદ થોડા સમય પછી સતીશભાઈ તેમની પત્ની હિનાબેન તેમજ શીતલબેન મુકેશભાઈ સાથે ફરી આવ્યા હતા અને લાકડી વડે માર માર્યો હોવાનો આક્ષેપ છે.
પત્નીને બચાવવા જતા જયંતિભાઈને પણ માર મારવામાં આવ્યો હતો જેમાં તેમના હાથની આંગળી સહિત શરીરના ભાગોમાં ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ બંને ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે પીડિત દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે મામલાની વધુ તપાસ શરૂ કરી છે.
