ભરૂચ:
ભરૂચ જિલ્લાના મનુબર ગામે પ્રાથમિક કુમાર શાળા ખાતે સેવાસેતુ 2.0 (ગ્રામ્ય) કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો, જેમાં આસપાસના 9 ગામના ગ્રામજનોએ સરકારી સેવાઓનો સરળ અને સુલભ રીતે લાભ મેળવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોની વિવિધ અરજીઓનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવી સુધી યોજનાઓનો લાભ પહોંચે અને જનસુખાકારી માટેની રજૂઆતોનો ઝડપી ઉકેલ આવે તે હેતુસર તાલુકા કક્ષાએ સેવાસેતુ 2.0 કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. મનુબર ખાતે આયોજિત કાર્યક્રમમાં રેશનકાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, પશુપાલન, એનઆરએલએમ, આધારકાર્ડ, આયુષ્યમાન કાર્ડ તેમજ પીએમ કિસાન જેવી વિવિધ સેવાઓનો લાભ નાગરિકોએ લીધો હતો.
આ કાર્યક્રમનો મનુબર, કંથારિયા, વહાલુ, સરનાર, શેરપુરા, દેતરાલ, દહેગામ, વાંસી અને કુરલા સહિતના ગામોના ગ્રામજનોએ લાભ લીધો હતો. લાભાર્થીઓએ જણાવ્યું હતું કે, સેવાસેતુ કાર્યક્રમથી એક જ સ્થળે વિવિધ સરકારી સેવાઓ સરળતાથી ઉપલબ્ધ થતા લોકોમાં સંતોષ જોવા મળ્યો હતો. તેમણે રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
