ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે વર્ષ–2026માં યોજાનારી અખિલ ભારતીય વ્યવસાય કસોટી માટે ખાનગી ઉમેદવારો પાસેથી અરજીઓ માંગવામાં આવી છે. પ્રવેશપત્ર–2025 અંતર્ગત પરીક્ષામાં ખાનગી ઉમેદવાર તરીકે ઉપસ્થિત થવા ઈચ્છુક ઉમેદવારો તા. 17 માર્ચ 2026 સુધી અરજી કરી શકશે.
DGT ન્યૂ દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ COE, GCVT, SCVT પરીક્ષા પાસ થયેલા આઈટીઆઈના ભૂતપૂર્વ તાલીમાર્થીઓ, NCVT ટ્રેડ પાસ ઉમેદવારો તેમજ માન્ય શૈક્ષણિક લાયકાત અને નિયત અનુભવ ધરાવતા અરજદારો અરજી માટે પાત્ર રહેશે. ઉપરાંત એપ્રેન્ટીસશીપ એક્ટ હેઠળ નોંધાયેલા એકમો અથવા ફેક્ટરી એક્ટ–1948 અને શોપ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા એકમોમાં ઓછામાં ઓછા ત્રણ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે.
ઈચ્છુક ઉમેદવારોને જરૂરી શૈક્ષણિક લાયકાત, વ્યવસાય અને અનુભવના પ્રમાણપત્રો સાથે નજીકની સરકારી આઈટીઆઈ ખાતે કામકાજના દિવસોમાં સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી રૂબરૂ સંપર્ક કરી અરજી કરવાની રહેશે. ટપાલથી મોકલાયેલી અરજીઓ માન્ય ગણાશે નહીં. વધુ અરજીઓ મળ્યાની સ્થિતિમાં DGT ની માર્ગદર્શિકા મુજબ પ્રી-ટેસ્ટ લઈને મેરીટના આધારે ઉમેદવારોને અંતિમ પરીક્ષામાં બેસવા માટે પસંદ કરવામાં આવશે.
આ અંગેની માહિતી નોડલ આચાર્ય વર્ગ-2, સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અંકલેશ્વર દ્વારા એક અખબારી યાદીમાં આપવામાં આવી છે.
